રાજકોટ શહેરના પૂર્વ કોર્પોરેટર ચારુબેન ચૌધરીનું કોરોનાના કારણે મોત થયું છે. તેમની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી. તેઓ 2005થી 2010 વોર્ડ નં.1થી ભાજપના કોર્પોરેટર રહ્યા હતા. તેમના મોતથી ભાજપમાં શોકનું મોજું ફરી વળ્યું છે. જ્યારે 4 જૈન સાધ્વીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોનાના કારણે છેલ્લા 24 કલાકમાં 16 દર્દીઓના મોત થયા છે. કોરોનાના કારણે મૃત્યુઆંકમાં આંશિક ઘટાડો થઈ રહ્યો છે. ગઈકાલે 17 પૈકીના 2 દર્દીના મોત કોવિડ-19ના કારણે થયા હોવાનો ડેથ ઓડિટ કમિટીનો રિપોર્ટ છે.
રાજકોટ શહેરમાં કોરોનાના કુલ 5443 કેસ
રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં 5443 લોકો કોરોનાની ઝપટે ચડી ગયા છે તેમાંથી 989 દર્દી હજુ સારવાર હેઠળ છે. બુધવારે શહેરમાં નવા 97 કેસ પોઝિટિવ આવ્યા હતા તેની સામે 109 દર્દીને રજા આપવામાં આવી છે. રાજકોટ શહેરી વિસ્તારમાં અત્યાર સુધીમાં 92 દર્દીના સારવાર દરમિયાન મોત થયા છે. જ્યારે 4172 દર્દી સાજા થઇ ઘરે પરત ફર્યા છે. રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 468 એક્ટિવ કેસ સારવાર હેઠળ છે.
રાજકોટ જિલ્લામાં કોવિડથી થતા મૃત્યુઆંકમાં ઘટાડો
તારીખ | મોતની સંખ્યા |
24 સપ્ટેમ્બર | 16 |
23 સપ્ટેમ્બર | 17 |
22 સપ્ટેમ્બર | 19 |
21 સપ્ટેમ્બર | 21 |
20 સપ્ટેમ્બર | 21 |
19 સપ્ટેમ્બર | 23 |
18 સપ્ટેમ્બર | 25 |
17 સપ્ટેમ્બર | 31 |
16 સપ્ટેમ્બર | 26 |
15 સપ્ટેમ્બર | 39 |
14 સપ્ટેમ્બર | 31 |
કોરોના મુક્ત રાજકોટ બનાવવા મનપાની 1200 સર્વેલન્સની ટીમો કાર્યરત
મનપા દ્વારા રાજકોટને કોરોનામુક્ત બનાવવા માટેની ઝુંબેશ ચાલી રહી છે. રાજકોટ શહેરમાં કોરોના સંક્રમણ તોડવા મનપા દ્વારા ઘરે ઘરે જઈને સેવા આપવામાં આવે છે.
રાજકોટમાં શાકભાજી વેચનારા ફેરિયાઓના ટેસ્ટ શરૂ
રાજકોટમાં કોરોના સંક્રમણ વધતાં ફરીથી શાકભાજી વેચનારા ફેરિયાઓના કોરોના ટેસ્ટ શરૂ કરવામાં આવ્યાં છે. જયુબિલી શાકમાર્કેટ સહિત શહેરના અન્ય માર્કેટમાં કોરોના ટેસ્ટની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ પાછળનો ઉદ્દેશ રાજકોટમાં સુપર સ્પ્રેડરને કારણે વધી રહેલા કોરોના સંક્રમણને ડામવાનો છે.