જિલ્લાના વધુ 38 લોકો મંગળવારે કોરોનાની ઝપટમાં આવતા કુલ આંકડો 4670 પહોંચ્યો છે. કોરોનાથી સંક્રમિતમાં 17 મહિલાઓમાંથી ગ્રામ્ય વિસ્તારમાંથી 10 અને શહેરમાંથી 7 જ્યારે 21 પુરૂષોમાંથી ગ્રામ્ય વિસ્તારમાંથી 10 અને શહેરમાંથી 11નો સમાવેશ થાય છે. જ્યારે 52 વર્ષથી 75 વર્ષ સુધીના સહિત આઠ દર્દીઓના કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. જેમાં સેક્ટર-8 અને 5, જલુંદ, કલોલના દર્દીઓના મોતથી કુલ આંકડો 305 થયો છે. જ્યારે કોરોનાની સામે જંગ લડી રહેલા વધુ 37 દર્દીઓએ કોરોનાને હરાવતા હોસ્પિટલમાંથી રજા આપતા કોરોનામુક્ત વ્યક્તિઓનો આંકડો 3802એ પહોંચ્યો છે. કોરોનાની ઝપટમાં આવેલા વિદ્યાર્થી, બાળકો, શિક્ષક, સેવક, સેક્શન ઓફિસર, કોસ્ટગાર્ડનો જવાન, ગૃહિણી, વેપારી, ખેડુત સહિતનો સમાવેશ થાય છે. જિલ્લાના મનપા વિસ્તારમાંથી 18, ગાંધીનગર તાલુકામાંથી 9, માણસામાંથી 8, દહેગામમાંથી 2 અને કલોલમાંથી 1 કેસ નોંધાયો છે.
7 મહિલા સંક્રમિત મનપા વિસ્તારમાંથી નવા 18 કેસમાંથી સેક્ટર-26માંથી 46 વર્ષીય ગૃહિણી, 58 વર્ષીય વેપારી અને સેક્ટર-3માંથી 68 વર્ષીય ગૃહિણી, 32 વર્ષીય આર્મી સ્કુલની શિક્ષિકા, 47 વર્ષીય યુવાન, 80 વર્ષીય વૃદ્ધ, 60 વર્ષીય વૃદ્ધ અને 77 વર્ષીય વૃદ્ધ જ્યારે સેક્ટર-2માંથી 40 વર્ષીય યુવતી અને 60 વર્ષીય ગૃહિણી તેમજ સેક્ટર-13માંથી 24 વર્ષીય વિદ્યાર્થી અને 51 વર્ષીય ઇન્ડિય કોસ્ટગાર્ડનો જવાન જ્યારે સેક્ટર-24માંથી 37 વર્ષીય શિક્ષિકા અને 61 વર્ષીય ગૃહિણી તેમજ સેક્ટર-7નો 23 વર્ષીય વિદ્યાર્થી, જીઇબીના 53 વર્ષીય આધેડ, સેક્ટર-23ના 36 વર્ષીય યુવાન અને સેક્ટર-30નો 34 વર્ષીય જીએડીના સેક્શન ઓફિસર સંક્રમિત થયા છે.
માણસાના 8 કલોલ
1 કેસ માણસાના 8 કેસમાં ગોવિદપુરાના 72 વર્ષીય વૃદ્ધ, 64 વર્ષીય ખેડુત, 70 વર્ષીય ગૃહિણી, 54 વર્ષીય ખેડુત, 64 વર્ષીય ગૃહિણી, 72 વર્ષીય અને 56 વર્ષીય ખેડુત તથા 73 વર્ષીય ગૃહિણી જ્યારે કલોલના છત્રાલનો 42 વર્ષીય યુવાન કોરોનાગ્રસ્ત.
તાલુકાના 9 અને દહેગામના 2 કેસ વાવોલમાં 3 ગૃહિણી અને 1 વૃદ્ધ, કુડાસણમાં કિશોર-કિશોરી, પોરમાં 2 ગૃહિણી તેમજ સાદરાની વૃદ્ધા સંક્રમિત થઇ છે. દહેગામ તાલુકાના નજુપુરાનો યુવાન અને પાલિકા વિસ્તારનો વેપારી સંક્રમિત થયો છે.
કમાન્ડ એન્ડ કન્ટ્રોલ ઓફિસના 6 કર્મચારી કોરોનામાં સપડાયા
રાજ્યભરની કમાન્ડ એન્ડ કન્ટ્રોલ કચેરીના છ કર્મચારીઓ કોરોનામાં સપડાતા શિક્ષણ વિભાગમાં હડકંપ મચી જવા પામ્યો છે. સેક્ટર-19ની કચેરીમાં અંદાજે 80 જેટલા કર્મચારીઓ અલગ અલગ હોદ્દા ઉપર ફરજ બજાવી રહ્યા છે. ત્યારે અન્ય કર્મચારીઓ સંક્રમિત થાય તે પહેલાં કચેરીને કોરન્ટાઇન કરવામાં આવે તેવી છુપી માંગ ખુદ કર્મચારીઓમાં ઉઠી છે.રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓમાં કરાવવામાં આવતી શૈક્ષણિક કામગીરીનું મોનીટરીંગ તેમજ નવી કામગીરીનું માહિતી લેવા માટે સેક્ટર-19માં કમાન્ડ એન્ડ કન્ટ્રોલ ઉભું કરવામાં આવ્યું છે.
જેના માધ્યમથી રાજ્યભરની શાળાઓના શિક્ષકો અને વિદ્યાર્થીઓની ઓનલાઇન હાજરી, પ્રજ્ઞા, ઓનલાઇન શિક્ષણ, હોમ લર્નિંગ, ઓનલાઇન શિક્ષકોને તાલીમ સહિતની કામગીરીની માહિતી લેવાનું કામ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ વિભાગ દ્વારા કરવામાં આવે છે. કમાન્ડ એન્ડ કન્ટ્રોલની સેક્ટર-19ની કચેરીમાં ઓનલાઇન મોનીટરીંગની કામગીરીમાં શિક્ષકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં હાલમાં અલગ અલગ હોદ્દા ઉપર અંદાજે 80 જેટલા કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. જેમાંથી 6 જેટલા કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા અન્ય કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. ઉલ્લેખનીય છે કે કમાન્ડ કન્ટ્રોલ કચેરી સપુર્ણ વાતાનુકુલિન હોવાથી અન્ય કર્મચારીઓને પણ પોતે સંક્રમિત થશે તેવો ફફડાટ વ્યાપી ગયો છે. ત્યારે કોવિડનો ભોગ અન્ય કર્મચારીઓ બને નહી તે માટે દસેક દિવસ કચેરીને કોરન્ટાઇન કરવામાં આવે તેવી છુપી માંગણી કર્મચારીઓમાં ઉઠવા પામી છે.