ઉમરગામ. માયથોલોજીકલ સિરિયલ ‘રાધાક્રિષ્ના’ના લીડ એક્ટર્સ સહિત 180 ક્રૂ મેમ્બર્સ છેલ્લાં એક મહિનાથી શૂટિંગ લોકેશન પર ફસાયેલા છે. આ સિરિયલનું શૂટિંગ સુરત નજીક ઉમરગામમાં કરવામાં આવતું હતું.
ખ્યાલ નહોતો કે લૉકડાઉન આટલું બધું ચાલશે
સૂત્રોના મતે, સિરિયલના લીડ એક્ટર્સ સુમેધ તથા મલ્લિકા સિંહ તથા 180 ક્રૂ મેમ્બર્સ છેલ્લાં એક મહિનાથી અહીંયા છે. સિરિયલમાં સુમેધે ક્રિષ્નાના રોલ કર્યો છે જ્યારે મલ્લિકાએ રાધાનો રોલ પ્લે કર્યો છે. મલ્લિકાએ એન્ટરટેઈન્મેન્ટ પોર્ટલ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તેમને શરૂઆતમાં એમ હતું કે થોડાંક જ દિવસો માટે લૉકડાઉન હશે પરંતુ હવે તો એક મહિનો થવા આવ્યો છે. મલ્લિકાએ વધુમાં કહ્યું હતું કે જ્યારે લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું ત્યારે મુંબઈ રહેતા તેના પરિવારે તેને સલાહ આપી કે તે જ્યાં છે ત્યાં જ રહે. હાલમાં મુસાફરી કરવી સલામત નથી. તે તેની મમ્મી સાથે અહીંયા છે. તેને એમ હતું કે થોડાં દિવસો બાદ તે મુંબઈ જશે પરંતુ તેઓ અહીંયા ફસાઈ ગયા છે.
સેટ પર તમામ સગવડો છે
મલ્લિકાએ સિંહે આગળ એમ પણ કહ્યું હતું કે સિરિયલના મેકર્સ તમામ બાબતોનું ધ્યાન રાખે છે. સેટ પર ભોજન તથા રહેવાની યોગ્ય વ્યવસ્થા છે. ડોક્ટર્સ પણ નિયમિત રીતે સેટની મુલાકાત લે છે અને તમામને તપાસે છે. આટલું જ નહીં સેનિટાઈઝેશન પણ નિયમિત રીતે કરવામાં આવે છે.
સલામતી મહત્ત્વની
સુમેધે કહ્યું હતું કે હાલના સમયે સૌથી મહત્ત્વની વાત સલામતી છે. તે પુનાનો છે પરંતુ શૂટિંગ શિડ્યૂઅલને કારણે તે પેરેન્ટ્સને બહુ ઓછું મળી શકતો હતો. આજે જ્યારે કામ નથી ત્યારે પણ તે પેરેન્ટ્સ તથા પરિવારથી દૂર છે.
મુસાફરી હિતાવહ નથી
સિરિયલના અન્ય કલાકારો તથા ક્રૂ મેમ્બર્સે પણ કહ્યું હતું કે હાલમાં તેઓ પરિવારને મિસ કરે છે પરંતુ પરિવારને પણ ખ્યાલ છે કે આજના સમયે મુસાફરી કરવી સહેજ પણ સલામત નથી.