રાજ્ય પોલીસવડા શિવાનંદ ઝાએ જણાવ્યું છેકે, પોલીસ પર થતા હુમલા ગંભીર બાબત છે. આ પ્રકારે પોલીસ પર હુમલા કરવામાં આવશે તો હુમલા કરનાર સામે પાસા સહિતની કાર્યવાહી કરવામાં આવશે. લોકડાઉનનું ચુસ્ત પાલન કરવા માટે લોકોનો સહકાર જરૂરી છે. જનતા પૂર્ણ સહકાર કરશે ત્યારે પોલીસ સંપૂર્ણ રીતે સફળ થશે. જો કોઇ લોકડાઉનનો ભંગ કરતુ હોય તો લોકો તેના વિશે માહિતી આપે. પોલીસ ડ્રોન અને સીસીટીવીના માધ્યમથી નજર રાખી રહી છે. ડ્રોનથી ગઇકાલે 293 અને સીસીટીવીથી 113 ગુના નોંધવામાં આવ્યા છે. સોશિયલ મીડિયામાં અફવા ફેલાવવા બદલ 23 એકાઉન્ટ બંધ કરવામાં આવ્યા છે.
મા વાત્સલ્ય અને મા અમૃતમ હેઠળ કોરોનાનો ટેસ્ટ કરાવી શકાશેઃ અશ્વિની કુમાર
મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છેકે, આજે ગુજરાત સ્થાપના દિવસે મુખ્યમંત્રીએ રાજ્યના સામાન્ય અને મધ્યમવર્ગના પરિવારના હિતોને ધ્યાનમાં રાખીને બે મહત્વની જાહેરાત કરી છે. મે મહિનામાં એપીએલ-1ના 61 લાખ જેટલા પરિવારોને મફત અનાજ વિતરણ કરવામાં આવશે. બીજી એક જાહેરાતમાં મા વાત્સલ્ય અને મા અમૃતમના લાભાર્થીઓને કોઇ ઓપરેશન કરાવવું હોય કે ડિલિવરીનો પ્રસંગ હોય ત્યારે મા અમૃતમ અને મા વાત્સલ્યની હોસ્પિટલમાં જશે તો તેમને કોરોનાનો ટેસ્ટ કરવાનો થશે તો તેનો ખર્ચ મા અમૃતમ અને મા વાત્સલ્ય યોજના હેઠળ મળશે. રાજ્ય 77 લાખ કુંટુંબોને લાભ મળશે.