વડોદરા નજીક નેશનલ હાઇવે ઉપર ૪૪ વર્ષ પહેલાં એક પેટ્રોલપંપ તેમજ હોટલ ઉપર પથ્થરમારો કરી ધાડ પાડયા બાદ હોટેલ માલિકને ઈજા પહોંચાડી ફરાર થઈ ગયેલી ચડ્ડી બનીયન ગેંગના ધાડપાડુને ૪૪ વર્ષ બાદ પોલીસે મહારાષ્ટ્રમાંથી ઝડપી પાડયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ વડોદરા નજીક આલમગીર ગામ પાસે નેશનલ હાઈવે ઉપર તા.૨૬ એપ્રિલ ૧૯૮૧ના રોજ પાંડે હોટલ તેમજ નજીકમાં આવેલા ગુજરાત ઓટો સર્વિસ નામના પેટ્રોલ પંપ ઉપર પથ્થરમારો કરી કેબિનમાં ઘૂસી જઈ રોકડ રૃા.૧૨,૯૫૨ ની લૂંટ ચડ્ડી બનીયનધારી ટોળકીએ કરી હતી. ધાડપાડુઓએ કેબિનના કાચ તોડી માર્કંડે રઘુનાથ પાંડે નામના હોટલ માલિકને દંડાથી માર મારી ઇજા પહોંચાડી હતી. આ અંગેનો ગુનો વરણામા પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો.
પોલીસે અગાઉ નવ ધાડપાડુંની ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. ત્યારબાદ ૧૯૮૪ માં વધુ એક ધાડપાડુને ઝડપી પાડી પુરવણી ચાર્જશીટ કોર્ટમાં મૂકી હતી જ્યારે અન્ય છ ધાડપાડુઓ ફરાર હતા. તેઓ નહીં ઝડપાતા કોર્ટે સીઆરપીસી કલમ ૮૨ મુજબ ફરારી જાહેરનામું બહાર પણ પાડયું હતું. દરમિયાન વરણામા પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.જે.વાઘેલાએ ફરાર આરોપીઓને શોધી કાઢવાની કવાયત હાથ ધરી હતી. જેમાં ઉપરોક્ત ગુનાના આરોપીઓ પણ ફરાર હોવાનું જાણવા મળ્યું હતું.
વર્ષ ૧૯૮૧માં થયેલી ધાડના ગુનામાં ફરાર આરોપીઓ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના કોટલીખુર્દ ગામે રહે છે તેવી માહિતીના આધારે પોલીસની એક ટીમ કોટલીખુર્દ ગામે પહોંચી વેશ પલટો કરી જાન્યુઆરી માસમાં બે ધાડપાડુઓને ઝડપી પાડયા હતાં જ્યારે છેલ્લો ધાડપાડુ રમેશ ફતુભાઇ વળવી (ઉ.વ.૬૭) ફરાર હતો. દરમિયાન પોલીસે વોચ ગોઠવી રમેશ વળવીને પણ ઝડપી પાડયો હતો. તે પોતાનું રહેઠાણ વારંવાર બદલતો રહેતો હતો. ઉલ્લેખનીય છે કે ત્રણ ધાડપાડુઓ મૃત્યુ પામ્યા છે.