એસજી હાઈવે પર આવેલા વૈષ્ણોદેવી મંદિરમાં ગર્ભગૃહનું તાળું તોડી અજાણ્યા તસ્કરો 3.86 લાખની ચોરી કરી ગયા હતા, જેમાં 500 ગ્રામ વજનનું ચાંદીનું યંત્ર અને પાદુકાનો સમાવેશ થાય છે. આ બનાવ અંગે અડાલજ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધવામાં આવી છે.
વૈષ્ણોદેવી મંદિરના ટ્રસ્ટી મુકેશ રામલભાયા વર્મા (સિંધુભવન રોડ, શીલજ)એ ફરિયાદ નોંધાવી છે કે, મંદિરમાં દેખરેખ કરતા પૂર્વેશ વ્યાસનો તેમના પર ફોન આવ્યો હતો. તેમણે મંદિરમાં ચોરી થઈ હોવાનું કહેતા ટ્રસ્ટી મંદિરે પહોંચ્યા હતા. મંદિરે જઈને જોતાં ગર્ભગૃહમાં જવાના દરવાજાનો નકુચો તોડી અજાણ્યો તસ્કર ઘૂસ્યો હતો.
તેણે માતાજીની મૂર્તિ આગળ મૂકવામાં આવેલા છ ચાંદીનાં યંત્ર (આશરે 500 ગ્રામ વજન, કિં. 1.80 લાખ), ચાંદીની પાદુકા, એક ચવર, યજ્ઞ શાળા પાસે રાખવામાં આવેલો પંપ સહિત કુલ રૂ. 3.86 લાખની ચોરી કરી હતી. આ બનાવની ફરિયાદ અડાલજ પોલીસ મથકમાં નોંધાવાતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. ચોરી કરનારા તસ્કરો મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થયા છે, જેથી પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે.