ડાકોરના ઠાકોરના દર્શનાર્થે કાળઝાળ ગરમીમાં પણ ચાલીને જઈ રહેલા ત્રણ પદયાત્રીઓને ડાકોર નજીક ખેંચ આવી ગઈ હતી. ત્રણેય પદયાત્રીઓને ડાકોર સબડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ઈમરજન્સી સારવાર આપવામાં આવી હતી. જેમાં ગોપાલપુરામાં પદયાત્રીને ખેંચ આવ્યા બાદ ૧૦૮ને જાણ કરાઈ હતી. પરંતુ ટ્રાફિકના કારણે સેવા વિસ્તાર સુધી પહોંચી ન શકતા પદયાત્રીને ઝોળી કરીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.
ફાગણી પૂનમે ઠાકોરજીના દર્શન કરવા માટે અનેક પદયાત્રીઓ ડાકોર પહોંચી રહ્યા છે. તેવામાં ચાલુ વર્ષે માર્ચ મહિનાની શરૂઆતથી કાળઝાળ ગરમી પડી રહી છે. હાલમાં ૩૯થી ૪૦ ડિગ્રી તાપમાનમાં ડાકોર ચાલીને જઈ રહેલા સંજયભાઈ લાલભાઈ ઠાકોર (ઉં.વ. ૪૦, રહે. વટવા, અમદાવાદ), દિલીપભાઈ ચૌહાણ (ઉં.વ.૪૫, રહે. માકવા) અને દશરથભાઈ અદભાઈ ડાભી (ઉં.વ.૫૬, રહે. અમસારણ)ને અચાનક ખેંચ આવી હતી. પરિણામે આસપાસના સ્થાનિકો અને પદયાત્રીઓ દ્વારા ત્રણેયને ડાકોરની સબડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ઈમરજન્સી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, અમદાવાદના વટવાથી ડાકોર જઈ રહેલા સંજયભાઈ ઠાકોરને ગોપાલપુરામાં ખેંચ આવી હતી. જેથી ૧૦૮ ઈમરજન્સી સેવાને જાણ કરવામાં આવી હતી. પરંતુ વિસ્તારની સાંકડી ગલીઓ, રિક્ષા ચાલકોના કારણે થતાં ટ્રાફિકના કારણે ઈમરજન્સી સેવા વિસ્તાર સુધી પહોંચી શકી ન હતી. સ્થાનિકો દ્વારા વારંવાર ફોન કરવા છતાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા સ્થાનિકોએ આખરે કલેક્ટરને ફોન કરી જાણ કરી હોવાનું જાણવા મળ્યું છે. બાદમાં દર્દીને ઝોળી કરીને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. હાલમાં ત્રણેય પદયાત્રીઓની તબિયત સારી હોવાનું ડોક્ટરે જણાવ્યું હતું.