જલગાંવઃ મહારાષ્ટ્રના ભુસાવલમાં રવિવારે ભાજપના નેતા રવિન્દ્ર ખરાત સહિત પાંચ લોકોની અજાણ્યા શખ્સોએ હત્યા કરી છે. હુમલો રાત્રે સાડા નવ વાગ્યાની આસપાસ તેમના ઘર બહાર કરવામાં આવ્યો હતો. જલગાંવ એસપી પંજાબરાવ ઉગાલેએ જણાવ્યું કે, ખરાત, તેમના ભાઈ સુનીલ ખરાત, પુત્ર રોહિત, પ્રેમ સાગર અને તેમના મિત્ર સુમિત ફેડરે પર ઘરની બહાર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં બેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા. જ્યારે ત્રણનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
કૌટુંબિક વિવાદમાં હત્યાની શંકા
પોલીસે જણાવ્યા પ્રમાણે હત્યા કરવા માટે હુમલાખોરે બંદૂક અને ચાકુનો ઉપયોગ કર્યો હતો. હત્યા કર્યા બાદ હુમલાખોર ફરાર થઇ ગયા હતા. એસપીએ જણાવ્યું કે, પ્રથમ દ્રષ્ટિએ આ મામલો કૌટુંબિક વિવાદનો લાગી રહ્યો છે. ત્રણ લોકોને અટકાયતમાં લઇને પૂછપરછ કરવામાં આવી રહી છે.