દ્વારકા:પ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકાનાં વિશ્વ પ્રસિધ્ધ જગતમંદિરમાં દ્વારકાધીશનાં દર્શનાર્થે યાત્રિકોનો અસ્ખલિત પ્રવાહ સતત વહેતો રહે છે. જગતમંદિરના દર્શન કરી યાત્રિકો જુના ગોમતી ઘાટ તરફ પદયાત્રા કરી સંગમ નારાયણ સુધી જતા હોય છે. અંદાજીત 330 મીટરનું અંતર પસાર કર્યા બાદ સમુદ્ર નારાયણના વિરાટ સ્વરૂપનું દર્શન થાય છે. પરંતુ આગળ જવા માટે યાત્રાનું અંતર વધી જતા યાત્રાળુઓ આગળ જવાનું ટાળે છે. યાત્રિકોના વાહનો મુખ્ય પાર્કિંગમાં મૂકેલા હોવાથી વાહનોની મદદથી ગાયત્રી મંદિર સુધી જવું શક્ય નથી. જેથી વારંવાર મુખ્ય રસ્તાઓ પર આવી ફરીથી લાઇટ હાઉસ કે દરીયા તરફ કે શ્રેષ્ઠ નૈસર્ગિક સ્થળ પર જવું પડે છે. આથી પાલિકા દ્વારા એક મહત્વનો મિનિ ટ્રેન પ્રોજેક્ટ સ્થાપવા આયોજન કર્યું છે. જેમાં સંગમ નારાયણથી ભડકેશ્વર મહાદેવ સુધી મોનોરેલ પ્રોજેક્ટ અંતર્ગત ટ્રેનસફર સ્થાપવા આયોજન કર્યું છે.
એમ્યુઝમેન્ટ પાર્કમાં મુસાફરોને ફેરવતી મિનિ ટ્રેન જેવી સુવિધા ઉભી કરાશે
મુખ્ય મંદિરમાં દર્શન કર્યા બાદ વાહન સેવાના અભાવે સમુદ્ર કિનારે આવેલા સ્થળો પર આગળ યાત્રા કરવાનું ટાળતા હોય છે. પરિણામે આ તમામ સ્થળોને એક જ માર્ગે જોડવા માટે પાલિકાએ મોનોરેલ પ્રોજેક્ટ હાથ ધર્યો છે. જેમાં સંગમ નારાયણથી ભડકેશ્વર સુધી સમુદ્ર સમાંતર મિનિ ટ્રેનની સુવિધા સ્થાપિત કરવામાં આવશે. આ સેવા સાથે રેલવેને કશું લાગતું વળગતું નથી. પરંતુ યાત્રાધામો કે એમ્યુઝમેન્ટ પાર્કમાં મુસાફરોને ફેરવતી મિનિ ટ્રેન જેવી સુવિધા ઉભી કરાશે. જો કે આ ટ્રેનની મજબૂતાઇ અનેક મુસાફરોને એક સાથે વહન કરી શકે તેવું હશે.
તમામ સ્થળોને સાંકળની જેમ સાંકળી લેવાશે: ચીફ ઓફિસર
મોનોરેલનો પ્રોજેક્ટ આવતા યાત્રીકો માટે સુવિધામાં વધારો થશે, કારણ કે જગત મંદિરની સાથે આવેલા જોવાલાયક સ્થળો અલગ અલગ જગ્યાએ હોવાથી યાત્રીકોને વાહન બદલવું પડે છે અથવા અલગ અલગ જગ્યાએ વાહન પાર્ક કરી પગપાળા જવુ પડે છે. જેથી આના વિકલ્પરૂપે મોનોરેલ પ્રોજેક્ટ સ્થાપવામાં આવશે. જેમાં મહત્વના તમામ તીર્થ સ્થાનકો અને જોવાલાયક સ્થળોને એક જ સાંકળમાં સાંકળી લેવામાં આવશે તેમ ચીફ ઓફિસર ડુડીયાએ જણાવ્યુ હતું.