નવી દિલ્હી. એશિયાની સૌથી મોટી ઝૂંપડ પટ્ટી ધારાવીમાંથી સારા સમાચાર છે. અધિકારીઓનું કહેવું છે કે 10 દિવસમાં એશિયાની સૌથી મોટી ઝૂંપડ પટ્ટીમાં સંક્રમણના કારણે એક પણ મોત થયું નથી. મંગળવારે અહીંયા 24 કેસ સામે આવ્યા હતા.મુંબઈ નગરપાલિકાના આંકડાઓના જણાવ્યા પ્રમાણે, ધારાવીમાં અત્યાર સુધી 2634 કેસ આવી ચુક્યા છે. હવે અહીંયા માત્ર 81 એક્ટિવ કેસ છે. 2295 દર્દી સાજા થઈ ગયા છે. 258 લોકોના મોત થયા છે.
તો આ તરફ દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 23 લાખ 28 હજાર 405 થઈ ગઈ છે. મંગળવારે 61 હજાર 252 દર્દી વધ્યા. સાથે જ 835 લોકોના મોત થયા છે. આ આંકડા covid19india.org વેબસાઈટ પ્રમાણે છે.
કોરોના અપડેટ્સ
- કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે સવારે કોરોનાના આંકડા જાહેર કર્યા હતા. જેના પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 60 હજાર 963 દર્દી વધ્યા અને 834 લોકોના મોત થયા. આ સાથે જ દેશમાં કુલ દર્દીઓની સંખ્યા વધીને 23 લાખ 29 હજાર 639 થઈ ગઈ છે. જેમાં 6 લાખ 43 હજાર 948 એક્ટિવ કેસ છે. સાથે જ 16 લાખ 30 હજાર 600 દર્દી સાજા થયા છે. અત્યાર સુધી 46 હજાર 91 લોકોના આ બિમારીથી મોત થયા છે.
- ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે જણાવ્યું કે, 11 ઓગસ્ટે દેશમાં 7 લાખ 33 હજાર 449 ટેસ્ટ કરાયા હતા. આ સાથે અત્યાર સુધી 2 કરોડ 60 લાખ 15 હજાર 297 સેમ્પલની તપાસ કરવામાં આવી છે.
રાજ્યોની સ્થિતિ
મધ્યપ્રદેશઃ રાજ્યમાં કોરોનાના કુલ સંક્રમિતોનો આંકડો 40 હજારને પાર થઈ ગયો છે. સંક્રમણની ગતિનો અંદાજ આનાથી જ લગાવી શકાય છે હવે દરરોજ 800થી વધુ નવા કેસ અને 15થી વધુ લોકોના મોત થઈ રહ્યા છે. રાહતની વાત માત્ર એટલી છે કે આ 40 હજારમાંથી 75.12% દર્દી સાજા થઈને ઘરે પાછા આવી ચુક્યા છે. મધ્યપ્રદેશ દેશનું પાંચમું એવું રાજ્ય છે, જ્યાં રિકવરી રેટ 75% થી વધુ છે.
છ જિલ્લા અનૂપપુર, સિવની, મંડલા, નિવાડી, ડિંડોરી અને ઉમરિયામાં 100થી પણ ઓછા, જ્યારે આઠ જિલ્લા સિંગરૌલી, બાલાઘાટ, પન્ના, શહડોલ, સીધી, અશોકનગર, ગુના અને આગર માલવામાં 100થી 200 સંક્રમિત છે. તમામ 52 જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસ છે. સૌથી વધુ એક્ટિવ કેસ ઈન્દોરમાં અને સૌથી ઓછા છ કેસ અનૂપપુરમાં છે.
રાજસ્થાનઃ જયપુરમાં છેલ્લા 14 દિવસથી 100થી વધુ લોકો કોરોના સંક્રમણનો શિકાર થઈ રહ્યા છે. મંગળવારે 106 નવા કેસ સામે આવ્યા છે. જેમાંથી એકનું મોત થયું છે. જે કે લોન હોસ્પિટલમાં એક ડોક્ટર કોરોના પોઝિટિવ નોંધાયા છે. સ્વાસ્થ્ય ભવનમાં પણ એક પોઝિટિવ મળ્યો છે. માત્ર જયપુરમાં પોઝિટિવનો આંકડો 6,700 સુધી પહોંચી ગયો છે અને 220 લોકોના મોત થયા છે.
બિહારઃ રાજ્યમાં મંગળવારે 83 હજાર 344 કોરોના સેમ્પલની તપાસ કરાઈ હતી. આ પહેલા એક સપ્તાહથી 75 હજારથી વધુ તપાસ થઈ રહી હતી. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 4071 દર્દી વધ્યા. JDUના રાષ્ટ્રીય મહાસચિવ અને રાજ્યસભામાં પાર્ટીના નેતા રામચંદ્ર પ્રસાદ સિંહ કોરોનાને હરાવીને મંગળવારે ઘરે પાછા આવ્યા છે. તેમના પત્ની પણ સાજા થયા છે. પટનાના ડીએમ અને સિવિલ સર્જન પણ કોરોનાની મુક્ત થઈને પાછા કામે લાગ્યા છે.
મહારાષ્ટ્રઃ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના એ દાવાને ખોટો ગણાવ્યો છે, જેમાં કોરોના દર્દીઓની માહિતી છુપાવવા અને કોરોનાથી થતા મોતને ઘટાડવાની વાત કહેવામાં આવી હતી.મુંબઈમાં મંગળવારે 917 નવા કેસ નોંધાયા હતા. ત્યારપછી સંક્રમિકતોની સંખ્યા વધીને 1 લાખ 25 હજાર 239 થઈ ગઈ છે. સાથે જ 48 દર્દીઓના મોત થવાથી મૃતકોની સંખ્યા વધીને 6 હજાર 890 થઈ ગઈ છે.
ઉત્તરપ્રદેશઃ મંગળવારે રાજ્યમાં 5,130 નવા દર્દી નોંધાયા છે. આ એક દિવસમાં સૌથી વધુ દર્દીઓ મળવાની સંખ્યા છે. છેલ્લા 24 કલાકમાં સંક્રમણથી અહીંયા 59 લોકોના મોત થયા છે. રાજ્યમાં હવે કોરોના દર્દીઓની સંખ્યા 48,998 થઈ ગઈ છે. 80,589 લોકો સાજા થયા છે.
તો આ તરફ વૃંદાવનના ઈસ્કોન મંદિરમાં મંગળવારે 22 લોકો એકસાથે પોઝિટિવ થયા છે. ત્યારપછી મંદિર પરિસરને પુરી રીતે સીલ કરી દેવાયું છે.