વિશ્વામિત્રી નદીમાં પૂરને રોકવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ સિંચાઇ વિભાગ દ્વારા ચોમાસાની ઋતુ પહેલાં કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરી વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા કામ હાથ ધરાયું છે જ્યારે શહેરની બહાર સિંચાઇ વિભાગ દ્વારા હાથ ધરાયેલી કામગીરી પૈકી અત્યાર સુધી નદીમાંથી ૩.૨૭ ઘનમીટર માટી બહાર કાઢી નદીને ઊંડી તેમજ પહોળી કરવામાં આવી છે જેથી નદીમાંથી પાણીનું વહન સરળતાથી થઇ શકે.
ઉલ્લેખનીય છે કે સિંચાઈ વિભાગ દ્વારા મારેઠાથી પીંગલવાડા સુધી વિશ્વામિત્રી નદીની સફાઈ, નદીમાંથી કાંપ દૂર કરવા ઉપરાંત નદીમાંથી પાણીનું વહન રોકે તેવા અવરોધો દૂર કરવા માટે અલગ અલગ છ પેકેજમાં કામગીરી હાથ ધરવામાં આવી છે. વિશ્વામિત્રી નદી પાવાગઢથી લઇ વડોદરા શહેરમાંથી પસાર થઇ પીંગલવાડા ઢાઢર નદીને મળે છે. ગત ચોમાસામાં વિશ્વામિત્રી નદીમાં પાણીનો પ્રવાહ વધવાને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ હતી. જેથી વડોદરા જિલ્લા બહારની વિશ્વામિત્રી નદીની સફાઇ, કાંપ દૂર કરવા સહિતની કામગીરી સિંચાઇ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે.
સિંચાઈ વિભાગ દ્વારા શહેર બહાર એટલે કે મારેઠાથી પિંગલવાડા સુધી ૨૫ કિ.મી. સુધીની વિશ્વામિત્રી નદીની સાફ સફાઇ, ડીસીલ્ટીંગ, ડ્રેજીંગ,જંગલકટીંગ અને રીસેકશનીંગ જેવી કામગીરી શરૃ કરવામાં આવી છે. સિંચાઈ વિભાગ દ્વારા ૨૨૨ હેક્ટરમાં ઝાડી ઝાંખરાની સફાઈ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. કુલ ખોદાણ અને ડિસિલ્ટિંગની કામગીરી ૧૧,૨૦,૦૦૦ ઘનમીટર છે જેમાંથી ૩,૦૪,૦૭૫ ઘનમીટરની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. વિશ્વામિત્રી નદીની સફાઇ તેમજ કાંપ દૂર કરવા માટે કુલ હિટાચી મશીન, જેસીબી સહિત કુલ ૧૨૩ મશિનરી કામે લગાડવામાં આવી છે.