રેલવેએ 12 સપ્ટેમ્બરથી 80 (40 જોડી) નવી સ્પેશિયલ ટ્રેન ચલાવવાની જાહેરાત કરી છે. તે માટે 10 સપ્ટેમ્બરથી રિઝર્વેશન શરૂ કરવામાં આવશે. રેલવે બોર્ડના ચેરમેન વિનોદ કુમાર યાદવે આ માહિતી આપી છે.
અત્યારે દેશમાં 230 સ્પેશિયલ ટ્રેન ચાલી રહી છે
રેલવે સેવાએ પહેલાં ઘણી શ્રમિક સ્પેશિલ ટ્રેન સેવાઓની સાથે સાથે IRCTC સ્પેશિયલ ટ્રેન સેવાઓની શરૂઆત કરી હતી. કોવિડ-19 મહામારીના કારણે અત્યારે દરેક પેસેન્જર ટ્રેન બંધ કરી દેવામાં આવી છે. અત્યારે દેશમાં 230 સ્પેશિયલ ટ્રેન ચાલી રહી છે.
આગામી દિવસોમાં વધુ 100 ટ્રેન ચલાવવાની યોજના છે
અનલોક-4ની ગાઈડલાઈન જારી થયાના ત્રણ દિવસ બાદ ભારતીય રેલવેએ કહ્યું હતું કે રેલવે આગામી દિવસોમાં વધુ 100 ટ્રેન ચલાવવાની યોજના પર કામ કરી રહી છે. કોરોના વાઈરસ તથા લોકડાઉનને પગલે રેલવેએ 25 માર્ચથી તમામ પેસેન્જર, મેલ તથા એક્સપ્રેસ ટ્રેન સર્વિસને રદ્દ કરી દીધી હતી.
1લી મેથી શ્રમિક સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવે છે
રેલવે શ્રમિકો માટે 1લી મેથી શ્રમિક સ્પેશિયલ ટ્રેન ચલાવી રહી છે. તેના મારફતે દેશભરના શ્રમિકોને તેમના ઘર સુધી પહોંચાડવામાં આવ્યા હતા. રેલવેએ કહ્યું હતું કે શ્રમિક ટ્રેનોનો 85 ટકા ખર્ચ કેન્દ્ર ઉઠાવશે અને 15 ટકા ખર્ચ ભાડાના સ્વરૂપમાં રાજ્યો વહન કરશે.
7 સપ્ટેમ્બરથી શરૂ થશે મેટ્રો
રેલવેએ 12 મેથી 15 જોડી એર કન્ડીશનર ટ્રેન તથા 1લી જૂનથી 100 જોડી નિયત સમયની ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો હતો. ગયા સપ્તાહ કેન્દ્રએ 7 સપ્ટેમ્બરથી મેટ્રો સર્વિસ શરૂ કરવાની મંજૂરી આપી હતી. ટૂંક સમયમાં સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી સ્ટાન્ડર્ડ ઓફ પ્રોસિઝર (SOP) પણ જારી કરવામાં આવશે, જેમાં મેટ્રો ટ્રેનને લઈ દિશા-સૂચનો જારી કરવામાં આવશે.