હેલ્થ ડેસ્કઃ જો તમે વજન ઓછું કરવા માગો છો તો સૌથી પહેલાં તમારે આહારમાં ફેરફાર કરવો પડશે. બહારનું ખાવાનું બંધ કરી દો અને વધુ તળેલો ખોરાક ખાવાનું ટાળો. આ ઉપરાંત, વજન ઓછું કરવા માગતા હો ત્યારે ચરબીયુક્ત ખોરાક તમારા ડાયટમાંથી કાઢી નાખો. તમારા આહારમાં એવા ત્રણ પીણાં ઉમેરો જે તમારી સ્થૂળતાને ઝડપથી ઘટાડવામાં મદદ કરશે.
તજની ચા
તજની ચામાં ઘણા આરોગ્યપ્રદ લાભો રહેલા છે. રાત્રે ઊંઘતા પહેલાં તજની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. તેનાથી મોટાબોલિઝમ વધે છે. તજની ચામાં ઘણા પ્રકારના એન્ટિ-ઓક્સિડન્ટ અને એન્ટિ-બાયોટિક ગુણધર્મો હોય છે. તમે મધ સાથે તજની ચા લઈ શકો છો. આ તમને તંદુરસ્ત રાખશે અને તાજગીનો અનુભવ કરાવશે. તજની ચા બનાવવા માટે એક કપ ગરમ પાણી અને એક ચમચી દળના પાવડરને મિક્સ કરી લો. તેને ઉકાળીને ગાળી લો. જ્યારે તમે સૂવા જાઓ તેના અડધો કલાક પહેલાં આ ચા પી લો.
કેમોમાઇલ ચા
જો તમે વજન ઓછું કરવા માગો છો તો કેમોમાઇલ ટી પીઓ. કેમોમાઇલ હર્બ ઔષધીય ગુણધર્મોથી ભરપૂર છે. તે કેલ્શિયમ અને પોટેશિયમ ધરાવે છે. એક ગ્લાસ ગરમ પાણી લો અને તેમાં કેમોમાઇલ મિક્સ કરો. ઊંઘવા જાઓ તેના અડધો કલાક પહેલાં પી લો. તેનાથી તમને સારી ઊંઘ તો આવશે જ પણ સાથે તમારી સ્થૂળતા પણ ઘટશે.
મેથીના દાણા ક્રશ કરી પાણી સાથે પીઓ
જો તમે મેદસ્વીપણું ઘટાડવા માગો છો તો મેથીના દાણા પાણી સાથે ફાકો. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, મેથીના દાણાને પાણી સાથે પલાળીને પીવાથી વજન ઘટે છે. મેથી શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે અને સાથે ફેટ બર્ન કરે છે. મેથીના દાણામાં એન્ટિ-એસિડ હોય છે, જે પાચન પ્રક્રિયાને પણ મજબૂત બનાવે છે. ઊંઘવાના એક કલાક પહેલા પાણીમાં ક્રશ કરેલી મેથી પાણી સાથે પી જાઓ. દરરોજ આ પીણું તમારું વજન ચોક્કસપણે ઘટાડશે.