રૃ. ૧૨ લાખ સુધીની વાર્ષિક આવક પર કોઇ ટેક્સ નહીં લગાવવાની અને ટેક્સ સ્લેબમાં ફેરફાર કરવાની બજેટમાં કરવામાં આવેલી જાહેરાતથી ૯૦ ટકાથી વધુ વ્યકિતગત કરદાતાઓ નવા ટેક્સ રિજિમ તરફ વળશે તેમ સીબીડીટીના ચેરમેન રવિ અગ્રવાલે એક નિવેદનમાં જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ૨૦૨૪-૨૫માં ૭૫ ટકા વ્યકિતગત કરદાતાઓએ નવા ટેક્સ રિજિમની પસંદગી કરી હતી. બજેટ પછી આપેલા એક ઇન્ટરવ્યુમાં અગ્રવાલે જણાવ્યું છે કે સરકાર અને આવકવેરા વિભાગ દેશમાં સરળ કર વહીવટી તંત્રની રચના કરવા માંગે છે આ માટે તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી (એઆઇ)નો પણ ઉપયોગ કરી રહ્યું છે.
સીબીડીટીના વડાએ વધુમાં જણાવ્યું હતું કે સામાન્ય કરદાતા માટે તેમની આવકની માહિતી આપવી સરળ બનાવી દેવામાં આવી છે. આ માટે આઇટીઆર-૧, ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવું, ટીડીએસની ગણતરી સરળ બનાવી દેવામાં આવી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે નવા ટેક્સ રિજિમ (એનટીઆર)માં જૂના ટેક્સ રિજિમની જેમ કોઇ ડિડકશન કે એક્ઝેમ્પશન મળતું ન હોવાથી કરદાતા માટે ટેક્સની ગણતરી કરવી સરળ બની જાય છે. તેઓ પ્રોફેશનલની મદદ વગર પણ આઇટીઆર ભરી શકે છે.
ઉલ્લેખનીય છે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી) કેન્દ્રીય નાણા મંત્રાલય હેઠળ કાર્યરત આવકવેરા વિભાગ માટેની વહીવટી સંસ્થા છે.
ગઇકાલના બજેટમાં નાણાપ્રધાન નિર્મલા સિતારામને મધ્યમ વર્ગને મોટી રાહત આપતા ૧૨ લાખ રૃપિયા સુધીની આવક પર કોઇ ટેક્સ ન લેવાની જાહેરાત કરી છે. ચાલુ વર્ષમાં આ મર્યાદા સાત લાખ રૃપિયાની હતી. આ ઉપરાંત પગારદાર વ્યકિતઓ માટે ૭૫૦૦૦ રૃપિયાનું વધારાનું સ્ટાન્ડર્ડ ડિડકશન પણ ઉપલબ્ધ છે.