સુરત શહેર-જિલ્લામાં દિવસે ને દિવસે કોરોના સંક્રમણ વધી રહ્યું છે. ગઈકાલે નવા 92 કેસ નોંધાયા હતા. સિટીમાં 73 કેસ અને જિલ્લામાં 19 કેસ નોંધાયા હતા. છેલ્લા 129 દિવસથી એક પણ દર્દીનું મોત થયું નથી. હાલ સુરત શહેર જિલ્લામાં 641 એક્ટિવ કેસ છે. જેમાંથી 21 દર્દી હોસ્પિટલમાં દાખલ છે. વધુ 126 દર્દીને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યા હતા. ગત રોજથી દેશભરમાં 18થી 59 વયના લોકોને વિનામૂલ્યે પ્રિકોશન ડોઝ આપવાનો આરંભ કરાયો છે.
સુરતમાં પ્રથમ દિવસે 18080 લોકોએ જ પ્રિકોશન ડોઝ મૂકાવ્યા છે. શહેરમાં 73 અને જિલ્લામાં 19 કેસ સાથે શહેર જિલ્લામાં કોરોનાના વધુ 92 કેસ નોંધાયા હતા. આ સાથે અત્યાર સુધીમાં શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 207592 થઈ છે. શહેરમાં 86 અને જિલ્લામાં 40 મળી શહેર-જિલ્લામાં 126 દર્દી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેર અને જિલ્લામાં કુલ 204711 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે.