મોટા વરાછા સ્થિત ગજેરા ગ્રાઉન્ડમાં હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન 31 મેથી 6 જુન સુધી સાળંગપુર ધામના શાસ્ત્રી હરિપ્રકાશદાસ સ્વામી કથાનું રસપાન કરાવશે. સુરત શહેરના આંગણે સૂર્યપુત્રી તાપી નદીના તટે મોટા વરાછા સ્થિત ગજેરા ગ્રાઉન્ડમાં શહનુમાન ચાલીસા યુવા કથા સમિતિ દ્વારા આગામી 31 મેથી 6 જુન સુધી આ કથા યોજાશે. જેમાં સાળંગપુર ધામના શાસ્ત્રી હરિપ્રકાશદાસ સ્વામી હાજર લોકોને કથાનું રસપાન કરાવશે.
આ કથા લોકોને સાળંગપુર ધામમાં વિરાજિત કષ્ટભંજનદેવ હનુમાનજી અહીં સાક્ષાત હોય તેવો અહેસાસ થશે. કથા આગામી 31મેથી 6 જુન સુધી રાતે 8.30થી 11.30 વાગ્યા સુધી યોજાશે, જેમાં સાળંગપુર ધામના શાસ્ત્રી હરીપ્રકાશદાસજી સ્વામી કથાનું રસપાન કરાવશે. મહત્ત્વનું છે કે, આ કથામાં સનાતન હિન્દુ ધર્મમાં હનુમાનજી મહારાજનો મહિમા જન-જન સુધી પહોંચે, તમામ સમાજને સાથે રાખી એક ઉત્તમ રાષ્ટ્રનું નિર્માણ થાય, યુવાનોમાં રાષ્ટ્ર ભક્તિ તેમજ આધ્યાત્મિક ભક્તિ ઉજાગર થાય અને યુવાનો વ્યસનો છોડી હનુમાન દાદાને આદર્શ માની સાચા રસ્તે વળે એવા ઉદ્દેશથી ખાસ યુવાનો માટે આ કથાનું આયોજન કરાયું છે.
આયોજકોના જણાવ્યા મુજબ આજના યુગમાં યુવાનો હનુમાન દાદાને પોતાના આદર્શ માને છે ત્યારે વધુમાં વધુ યુવાનો આ કથામાં જોડાય તે માટે આ કથાનું નામ જ યુવા કથા રાખવામાં આવ્યું છે. કથા દ્વારા કષ્ટભંજન દાદાના દિવ્ય ચરિત્રોથી યુવા વર્ગને સંસ્કારથી સુશોભિત કરવાનો ઉમદા હેતુ છે. કથામાં યુવાનોને વ્યસન મુક્તિ તેમજ રાષ્ટ્રભક્તિ અને ભક્તિનો સમન્વય થાય તે હેતુ છે. દરરોજ કથા પૂર્વે રાષ્ટ્રગાન પણ કરવામાં આવશે. કથા સ્થળે 25 હજારથી વધુ લોકો બેસીને દાદાની કથા સાંભળી શકે તે માટેનું આયોજન હાથ ધરાઈ રહ્યુ છે. આ ઉપરાંત ત્યાં લોકોના વાહનોના પાર્કિંગ સહિતની વ્યવસ્થા ઉભી કરાઈ રહી છે.