તાલાલા ગીર તાલુકાના ખેડૂતો, ખેતી તથા ગામડાંઓના વિકાસ માટે સરકાર દ્વારા શરૂ કરાયેલી વિકાસયાત્રાથી ખેડૂતોને અવગત કરાવવા તથા વિવિધ ક્ષેત્રે લોક ઉપયોગી કામગીરી કરનાર પ્રગતિશીલ ખેડૂતો, સરકારી કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ગુંદરણ ગીર ગામે ગીર સોમનાથ જિલ્લાનો નમો કિસાન પંચાયત કાર્યક્રમ ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના ઉપાધ્યક્ષ મહેન્દ્રભાઈ પિઠીયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં 17 પ્રાકૃતિક ખેતી કરનાર, 24 સરકારી નોકરી મેળવનાર, 25 તેજસ્વી વિદ્યાર્થીઓ અને 7 જેટલા નિવૃત્ત કર્મચારીઓનું સન્માન કરાયું હતું.
આ કાર્યક્રમનાં વકતાપદે ઉપસ્થિત ભાજપ અને કિસાન મોરચાના અગ્રણીઓએ ખેડૂત, ખેતી અને ગામડાંઓના વિકાસ માટે રસ્તા, વીજળી, કૃષિ, સિંચાઇ અને પશુપાલન ક્ષેત્રે સરકારે બે દાયકા દરમિયાન કરેલ કામગીરીની વિસ્તૃત વિગતોની જાણકારી આપી હતી. સરકારની ગ્રામીણ વિકાસ માટેની વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના પરીવારો સુધી પહોંચાડવા અગ્રણીઓ, કાર્યકરોને અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં પ્રાકૃતિક અને ઓર્ગેનિક ખેતી કરી સૌને પ્રેરણા અપાવનાર 17 પ્રગતિશીલ ખેડુતો તથા તાજેતરમાં વિવિધ વિભાગોમાં સરકારી નોકરી પ્રાપ્ત કરનાર 24 કર્મચારીઓ તથા ઉત્કૃષ્ઠ પરીણામ લાવનાર 25 તેજસ્વી વિદ્યાર્થીઓ અને સાત નિવૃત્ત કર્મચારીઓને આગેવાનોએ મોમેન્ટો આપી સન્માનિત કર્યા હતા.
આ કાર્યક્રમમાં ગીર પંથકના પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર, પ્રદેશ પ્રભારી વિનુભાઈ કથિરીયા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ડો.ગોપાલભાઈ હડીયા, મહામંત્રી ડો.વઘાસિયા, મંત્રી વિજયભાઈ ઠાકર, શૈલેન્દ્રસિંહ રાઠોડ, જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ ધીરુભાઈ, જી.પં. સદસ્ય રાજવિરસિંહ ઝાલા, કાનાભાઇ મુછાળ, અગ્રણી જીકુભાઈ સુવાગીયા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનાં પ્રારંભે તાલુકા ભાજપ પ્રમુખ વિમલભાઈ વાડોદરીયાએ સ્વાગત પ્રવચન કરી સૌનું અભિવાદન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કિસાન મોરચાના મહામંત્રી પ્રતાપભાઈએ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા તાલુકા ભાજપ મહામંત્રી તનસુખપરી ગૌસ્વામી તથા દેવાયતભાઈ કરગઠીયા તથા ભાજપ-યુવા ભાજપના કાર્યકરોએ સંભાળી હતી.