ચાર દિવસ પહેલા ઓરિસ્સાથી સાયણ ગામે આવીને રહેલો પરપ્રાંતીય યુવકને દેલાડ ગામની સીમમાં તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરવાની બનેલી ચોંકાવનારી ઘટનાને પગલે ઓલપાડ પોલીસ દોડતી થઈ હતી. જ્યારે હત્યા કરવાની ઘટનામાં પોલીસે પ્રાથમિક માહિતીના આધારે સીસીટીવી ફૂટેજ સહિત અન્ય દિશામાં તપાસ હાથ ધરી હતી. ઓલપાડ પોલીસ સ્ટેશનની સાયણ ચોકીની હદમાં દિન પ્રતિદિન ગંભીર પ્રકારના ગુનામાં વધારો થયાનું પોલીસ ચોપડે નોંધાયુ છે. ત્યારે ગુરૂવારની સવારે ફરીવાર યુવકની હત્યા થવાની ઘટનાએ પોલીસ દોડતી થઈ હતી.
ઘટનાની વિગતવાર હકીકત મુજબ મૂળ ભાલિયાપલ્લી, પોસ્ટ જગમોહન, જિલ્લો ગંજામ, ઓરિસ્સા અને હાલ રસૂલાબાદ સોસાયટી, સાયણ ખાતે રહેતો રોહિત રામચંદ્ર બહેરા યુ.વીવી 40 એ ઓરિસ્સા પોતાના વતન જઈને ચાર દિવસ પહેલા સાયણ ગામે પરત આવ્યો હતો. જે ઓલપાડ તાલુકાનાં દેલાડ ગામે સુરત રોડ પર આવેલા ગણેશ ઈન્ડસ્ટ્રી ખાતે લૂમ્સના કારખાનામાં કામ કરતો હતો. કારખાનામાં કામે આવ્યા બાદ સવારે ગણેશ ઈન્ડસ્ટ્રીના ગેટ પાસે આવેલા શેરડીના ખેતરમાં ખુલ્લામાં તે બેભાન હાલતમાં પડેલો હતો. અહીથી આવજા કરતાં લોકોએ તેને જોતાં તેના શરીરે, ગળાના ભાગે તેમજ અન્ય જગ્યા પર તીક્ષ્ણ હથિયારથી ઉપરા છાપરી ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. બેભાન હાલતમાં રોહિતને 108 દ્વારા સારવાર માટે સુરત સિવિલ ખાતે લઈ જવાતા તે મરણ ગયાનું જાહેર કરવામાં આવ્યું હતું.
આમ કોઈક કારણસર તીક્ષ્ણ હથિયારના ઘા મારી રોહિત બહેરાની હત્યા કરવાની ઘટનામાં ઓલપાડ પોલીસે ઘટના સ્થળે આવી તપાસ હાથ ધરી હતી. સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ ત્રણ જેટલા અજાણ્યા ઇસમો મારવામાં હતી. પોલીસે માહિતીને આધારે ઘટનાસ્થળ નજીકના સીસીટીવી ફૂટેજ સહિત અન્ય પ્રકારે તપાસ હાથ ધરી છે. જ્યારે મરનાર રોહિત ચાર દિવસ પહેલા ઓરિસ્સાથી પરત આવ્યો હતો. ત્યારે તેની કોઈ સાથે અંગત દુશ્મનાવટ ન હતી. જેથી હત્યા કરવામાં કોઈ નજીકના ઇસમોનો હાથ હોવાનું પોલીસે અનુમાન લગાવી તેના રૂમમાં સાથે રહેતા મિત્રોની પૂછતાછ સાથે તપાસ કરતાં એક રૂમ પાર્ટનર ગુમ હોવાથી પોલીસે સકના આધારે તેની શોધખોળ હાથ ધરી છે. ત્યારે રોહિતની હત્યાની ઘટનાને અંજામ તેના રૂમ પાર્ટનરે આપ્યો હોવાનું પણ પ્રાથમિક તારણ છે. જ્યારે હત્યાની ઘટનાને અંજામ આપનાર હથિયારો પોલીસથી નજીક હોવાનું પણ કહેવાઈ રહ્યું છે.