દિવાળી પર્વને અનુલક્ષીને પાટણ નવાગંજ માર્કેટયાર્ડ ખાતે સોમવારથી માર્કેટયાર્ડ સમિતિ દ્વારા દિવાળીમાં આઠ દિવસનું મીની વેકેશન જાહેર કરવામાં આવ્યું છે.
જિલ્લા મથક પાટણ ખાતે આવેલા નવાગંજ માર્કેટયાર્ડમાં આસપાસના ગ્રામ્ય વિસ્તાર સહિત જિલ્લાના તાલુકાઓમાંથી મોટા પ્રમાણમાં ખેડૂતો પોતાની ઉપજો લઇને વેચાણ અર્થે આવતાં હોય છે. ત્યારે આગામી દિવાળીના પર્વને અનુલક્ષીને તા.22 ઓકટોબરથી 1 નવેમ્બર સુધી પોતાની પેઢીઓ તેમજ ધંધા-રોજગાર બંધ રાખી વેકેશન પાળશે. જેથી ખેડૂતોથી ધમધમતું નવાગંજ માર્કેટયાર્ડ આઠ દિવસ દરમ્યાન સુમસામ રહેશે. ત્યારે આગામી 2 નવેમ્બરથી માર્કેટયાર્ડમાં ખરીદ વેચાણનો પ્રારંભ થશે.
આ ઉપરાંત જે દિવસે માર્કેટયાર્ડ ખુલશે તે દિવસે સૌ પ્રથમ વેપારીઓનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ સવારે 8 કલાકે વિવિધ ખેતપેદાશની હરાજીથી ખરીદ વેચાણનો પ્રારંભ કરવામાં આવશે.