વાસદ સ્થિત એસવીઆઈટી ખાતે પ્રથમ વખત રાજ્યમાં કન્ઝ્યુમર રાઇટ્સ ઓર્ગેનાઈઝેશન દ્વારા ઓનલાઈન ખરીદી સમયે થતી છેતરપિંડીથી જાગૃત કરવા કન્ઝ્યુમર રાઇટ્સ એન્ડ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન પર સેમિનાર યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન ઉપર વિસ્તૃત ચર્ચા કરી જાણકારી અપાઈ હતી. કેવી રીતે ફ્રોડ થઈ શકે છે અને તેનાથી બચવા માટેના ઉભોક્તાએ તકેદારીના ભાગરૂપે કઈ-કઈ વાતો ધ્યાનમાં રાખવી તે વિશે જણાવ્યું હતું.
આજના યુગમાં ઓનલાઈન ખરીદીના જમાનામાં ઘણી વેબસાઈટ એવી છે. જ્યાં છેતરપિંડી થાય છે અને ગ્રાહકને ભોગવવાનું આવે છે. સરકાર તરફથી ગ્રાહકોને તકેદારી રાખવા માટે સૂચનો કરવામાં આવે છે. તેમ છતાં પણ ગ્રાહક છેતરાય છે. આવું ન બને તે માટે ગ્રાહકને જાગૃત કરવાનું કાર્ય કન્ઝ્યુમર રાઇટ ઓર્ગેનાઈઝેશન દ્વારા કરવામાં આવે છે. જો છેતરાઈ જાય તો તેને કાનૂની સલાહ અને તેના તરફથી લડત આપવાનું કાર્ય પણ કન્ઝ્યુમર રાઇટ ઓર્ગેનાઈઝેશન દ્વારા કરવામાં આવે છે. આ પ્રસંગે કોલેજના આચાર્ય ડો. ડી.પી. સોની ઉપસ્થિત રહી સર્વે અતિથિઓનું સ્વાગત કર્યો હતો. દેશમાં સૌથી મોટો ગ્રાહક કોઈ હોય તો તે આજનો યુવાન છે. તેથી જ સીઆરઓ દ્વારા યુવાનો વચ્ચે જઈ તેમને જાગૃત કરવા માટેના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. આ જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે જ રાજ્યમાં સૌપ્રથમ એસવીઆઈટી ખાતે કન્ઝ્યુમર રાઇટ ઓર્ગેનાઈઝેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ નવીન શર્મા દ્વારા આ યુવાનોને સંબોધિત કરવામાં આવ્યાં હતા.
આ પ્રસંગે દીપેશ જૈન (રાષ્ટ્રીય પ્રવક્તા સીઆરઓ)એ વિદ્યાર્થીઓને સીઆરઓની કામગીરીની જાણકારી આપી હતી. સીઆરઓ ગ્રાહકોને કેવી રીતે મદદરૂપ થાય છે. તે વિશેની માહિતી આપી હતી. અર્નવ દેસાઈ (અધ્યક્ષ, સીઆરઓ ગુજરાત) વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો કે, તેઓ પણ સીઆરઓની ટીમ સાથે જોડાય અને જરૂરતમંદ ઉપભોક્તાઓને મદદરૂપ થઈ દેશ અને સમાજની સેવા કરી શકે છે. એસવીઆઈટીના અધ્યક્ષ રોનક પટેલે મુખ્ય અતિથિ નવીન શર્મા અને તેમની સીઆરઓ ટીમ સાથે આ વિષય પર ખૂબ વિસ્તૃત ચર્ચા કરી હતી અને ઉપભોક્તા જાગૃતિના કાર્યક્રમોમાં એસવીઆઈટી તરફથી શક્ય તમામ મદદ આપવાની ખાતરી આપી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. વિકાશ અગ્રવાલ (પ્રોગ્રામ ઓફિસર, એનએસએસ યુનિટ) દ્વારા કરવામાં આવ્યું હતું.