બેનામી સંપત્તિના કેસમાં રોબર્ટ વાડ્રાની પૂછપરછ કરવા માટે સોમવારે ઇન્કમટેક્સ વિભાગની એક ટીમ તેમના ઘરે પહોંચી હતી. તપાસ કરી રહેલા IT વિભાગનાં સૂત્રોએ ન્યૂઝ એજન્સી IANSને જણાવ્યું હતું કે વાડ્રાની નિવેદન રેકોર્ડ કરવામાં આવી રહ્યું છે. ઇન્કમટેક્સ વિભાગ ઉપરાંત એન્ફોર્સમેન્ટ વિભાગ (ED) મની-લોન્ડરિંગ મામલે તપાસ કરી રહ્યો છે.
વાડ્રા પર બિકાનેર અને ફરીદાબાદમાં જમીનકૌભાંડ આચરવાનો આરોપ છે. જોકે હજી સુધી એ સ્પષ્ટ નથી થયું કે અધિકારીઓ કયા કેસની તપાસના સંદર્ભમાં વાડ્રાની પૂછપરછ કરી રહ્યા છે.
વાડ્રા પર લંડનના બ્રાયનસ્ટન સ્ક્વેરમાં ખોટી રીતે 19 લાખ પાઉન્ડની કિંમતનું મકાન ખરીદવાનો આરોપ છે. કોંગ્રેસના વચગાળાનાં અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઈ વાડ્રા હાલમાં આગોતરા જામીન પર છે. પહેલાં તેઓ કોરોનાને કારણે તપાસમાં હાજર રહી શક્યા ન હતા.
આ પહેલાં આ કેસમાં વાડ્રાના સહયોગી મનોજ અરોરાને કોર્ટે વચગાળાના જામીન આપ્યા હતા. ઇડીના જણાવ્યા અનુસાર, ઇન્કમટેક્સ વિભાગ ફરાર હથિયાર ઉદ્યોગપતિ સંજય ભંડારી સામે કાળાં નાણાં કાયદો અને કર કાયદા હેઠળ નોંધાયેલા કેસોની તપાસ કરી રહ્યા છીએ. આ દરમિયાન વિભાગને અરોરાની ભૂમિકાની પણ શંકા હતી. ત્યાર બાદ તેની સામે કેસ નોંધવામાં આવ્યો હતો.
વાડ્રાને ફાયદો કરાવવા માટે સોદો કર્યો
ઈડીનો આરોપ છે કે લંડનમાં ભંડારીએ 19 લાખ પાઉન્ડમાં સંપત્તિ ખરીદી હતી. તેના સમારકામ પર 65,900 પાઉન્ડ ખર્ચ કર્યા બાદ 2010માં એટલી જ રકમમાં વાડ્રાને વેચી દીધી હતી. એનાથી સ્પષ્ટ થાય છે કે ભંડારી આ સંપત્તિના વાસ્તવિક માલિક ન હતા, પરંતુ તેને વાડ્રાને ફાયદો અપાવવા માટે સોદો કર્યો હતો. આરોપ એ પણ છે કે વાડ્રાની સ્કાઈલાઇટ હોસ્પિટાલિટીના કર્મચારી અરોરાની આ સોદામાં મહત્ત્વની ભૂમિકા રહેલી છે. તેને વાડ્રાની વિદેશી બેનામી સંપત્તિની પણ જાણકારી હતી અને રૂપિયાની વ્યવસ્થા કરવામાં પણ તેની મહત્ત્વની ભૂમિકા છે.