- Advertisement -
હળવદ તાલુકાના રાયસંગપર ગામ અને મયુરનગર ગામને જોડતો નદી પર આવેલો પુલ છેલ્લા ચાર વર્ષથી તૂટી ગયેલ છે જેથી આ ગામ વચ્ચે આવવા જવા માટે હવે આ પુલ ઉપયોગમાં લઇ સકાય તેમ ના હોય જેથી ગ્રામજનોએ પાંચ કિલોમીટર લાંબુ ચક્કર કાપવું પડે છે વળી અંતરિયાળ એવા ગામડાઓમાં વાહનની સગવડો પણ ના હોય જેથી માત્ર પુલ રીપેરીંગ ના કરવાના તંત્રના અક્કડ વલણને કારણે ગ્રામજનોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને અહી ગ્રામજનોની સમસ્યાનો અંત આવતો નથી પરંતુ નવી મોકાણ સર્જાય છે કારણકે ગામના વિદ્યાર્થીઓને દરરોજ નદી પાર કરીને સામે પાર આવેલા મયુરનગર ગામની હાઈસ્કૂલમાં અભ્યાસ અર્થે જવું પડે છે એ પણ જીવના જોખમેં
હળવદ તાલુકાના રાયસંગપર ગામ અને મયુરનગર ગામને જોડતો નદી પરનો પુલ તૂટી ગયો હોય અને રાયસંગપર ગામ તેમજ ચાડધ્રા ગામના ધોરણ ૯ થી ૧૨ ના કુલ મળીને ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓને મયુરનગર જવા માટે હવે બીજો કોઈ માર્ગ રહ્યો નથી અને પાંચ કિલોમીટર ફરીને જવા માટે પણ વાહનની સગવડ નથી જેથી નદી પાર કરીને જીવના જોખમે અહીંથી જ પસાર થવું પડે છે જેના માટે ગ્રામજનોએ હુકડા જેવું બનાવ્યું છે જોકે તેના પરથી પસાર થવામાં ભારોભાર જીવનું જોખમ રહેલું છે છતાં અક્ષર જ્ઞાન માટે વિદ્યાર્થીઓ આવા જીવના જોખમે પણ હાઈસ્કૂલ પહોંચે છે જે અંગે વિદ્યાર્થીઓ જણાવે છે કે પુલ આજકાલનો નહિ પરંતુ તૂટી ગયાને ચાર વર્ષ વીતી ગયા છે પરંતુ રીપેર કરવા માટે તંત્ર અને સરકાર કોઈ પગલા લેતું નથી અને વિદ્યાર્થીઓ મુશેકેલીમાં મુકાઈ રહ્યા છે
એક તરફ ગુજરાતની સરકાર બેટી બચાવો બેટી પઢાઓના તેમજ મહિલા સશક્તિકરણના નારા આપે છે ત્યારે બીજી તરફ વિદ્યાર્થીનીઓને અભ્યાસ અર્થે હાઈસ્કૂલ જવા માટે જીવના જોખમે પસાર થવું પડે છે તેવા આક્રોશ સાથે વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું કે શાળાએ જવા માટે તેને ખુબ વહેલું તૈયાર થવું પડે છે સવારે છ વાગ્યામાં તેને નીકળવું પડે છે અને છતાં મોટાભાગે શાળાએ મોડા જ પહોંચી સકે છે વળી બપોરે શાળાએથી છૂટ્યા બાદ પણ આ નદી જીવના જોખમે પાર કરીને ઘરે પરત ફરતા ઘણો સમય વેડફાઈ જાય છે ઉપરાંત શારીરિક થાક પણ એટલો લાગતો હોવાથી અભ્યાસ માટે સમય બચતો જ નથી અને રાત્રે જાગીને હોમવર્ક અને અભ્યાસ કરવો પડે છે પરંતુ સવારે ફરી વહેલું ઊઠવાનું હોય ત્યારે રાત્રે ઉજાગરા પણ કરવા મુશ્કેલ પડતા હોવાની વ્યથા ઠાલવી હતી તો અનેક રજુઆતો કરી હોવાનું જણાવીને અન્ય વિદ્યાર્થી જણાવે છે કે તંત્રને ગ્રામજનોની પીડા સમજાતી નથી એક વખત સરકારી અધિકારી અહી આવીને વિદ્યાર્થીઓની સ્થિતિ જોઈ લે તેવી આજીજી પણ કરતા જોવા મળ્યા હતા.
આમ ૨૮૦૦ ની વસ્તી ધરાવતા ગ્રામજનો અને તેનાથી પણ વિશેષ ૨૦૦ જેટલા ભારતના ભવિષ્ય સમાન વિદ્યાર્થીઓના પ્રશ્ન અંગે તંત્ર આટલું ઉદાસીન કેવી રીતે હોઈ સકે તેવા સવાલો પણ અહી ચોક્કસ ઉદભવે છે ગ્રામજનોમાં તંત્ર અને સરકાર પ્રત્યે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે કારણકે તેના જીવથી પણ વ્હાલા બાળકો રોજ જીવના જોખમે નદી પાર કરે છે અને ક્યારે દુર્ઘટના સર્જાય તેવો ઉચાટ સતત વાલીઓના મનમાં જોવા મળી રહ્યો છે જોકે કાર્યક્રમો પાછળ કરોડોના આંધણ કરી સકતી સરકાર પાસે પુલ રીપેર કરાવવા કે નવો બનાવવા માટે નાણાકીય જોગવાઈ ના હોય તેવું લાગી રહ્યું છે અને પુલનો પ્રશ્ન ચાર વર્ષથી અધ્ધરતાલ જોવા મળી રહ્યો છે .
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી