પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ ઉપર મહાકુંભમાં સ્નાન કરવાની અંતિમ ઇચ્છા પૂર્ણ કરીને પરત ફરી રહેલા ગોધરાના વૃધ્ધ મહિલાએ ગોધરા પહોંચતા પહેલા જ અંતિમયાત્રાએ પ્રયાણ કરી દીધુ. આ ઘટનાથી માતા સાથે કુંભમાં ગયેલી પુત્રી આઘાતમાં સરી પડી હતી પરંતુ માતાની અંતિમ ઇચ્છા પૂર્ણ કરી હોવાના સંતોષ સાથે માતાને વિદાય આપી હતી.
પુત્રી સાથે કુંભ સ્નાન બાદ, અયોધ્યા, કાશીની જાત્રા પુરી કરીને વડોદરા આવ્યા અને ખાનગી કારમાં ગોધરા જતા હતા ત્યારે રસ્તામાં જ પ્રાણ છોડયા
ગોધરામાં રહેતા હંસાબેન ઠાકરે (ઉ.૭૬) પુત્રી કોમલનેકહ્યું હતું કે મારે કુંભ સ્નાન કરવા માટે જવુ છે. માતાની ઇચ્છા પૂર્ણ કરતા કોમલબેન માતાને મહાકુંભમાં સ્નાન માટે પ્રયાગરાજ લઇ ગયા હતા. સ્નાન બાદ તે પ્રયાગરાજથી અયોધ્યા ગયા હતા અને ત્યાંથી વારાણસી-કાશીની યાત્રા પૂર્ણ કરીને ગોધરા પરત આવવા રવાના થયા હતા.
કોમલબેન અને તેમના માતા હંસાબેન ટ્રેન દ્વારા વડોદરા પહોંચ્યા હતા અને અહીથી તેઓ ખાનગી ટેક્સી કરીને ગોધરા આવવા નીકળ્યા હતા. દરમિયાન હંસાબેન કારમાં ઊંઘી ગયા હતા. કાર જ્યારે ગોધરામાં ઘર પાસે પહોંચી ત્યારે કોમલબેને કહ્યું કે મમ્મી ઘર આવી ગયું છે.પરંતુ હંસાબેન કઈ બોલચાલ ના કરતા કોમલબેન ગભરાઈ ગયા હતા અને ડોક્ટરને ઘરે બોલાવી તપાસ કરાવતા ડોક્ટરે હંસાબેનને મૃત જાહેર કર્યા હતા.
હંસાબેનની અંતિમવિધિ પુત્રીઓએ કરી : પિતા-ભાઇનું અવસાન થઇ ચુક્યુ છે
ઉલ્લેખનીય છે કે કોમલબેનના પિતા એટલે કે હંસાબેનના પતિનું આઠ મહિના પહેલા જ મૃત્યુ થયુ હતું. તેના થોડા સમય પહેલા કોમલબેનના ભાઇ કેનાલમાં અકસ્માતે પડી જતા તેનુ મૃત્યુ થયું હતું પરિવારમાં ૩ પુત્રીઓ અને માતા રહ્યા હતા જેમાં એક બહેન વડોદરા સાસરે છે જ્યારે કોમલબેન અને તેમના બીજા બહેન માતા સાથે ગોધરામાં રહેતા હતા. હંસાબેનના મૃત્યુ બાદ અંતિમવિધિ કોમલબેન અને તેમના બહેનોએ કરી હતી.
ચા પીને ઓમ નમંઃ શિવાય બોલ્યા અને કારમાં ઊંઘી ગયા
કોમલબેન અને તેમના માતા હંસાબેન વડોદરાથી ખાનગી ટેક્સીમાં ગોધરા જઇ રહ્યા હતા ત્યારે હંસાબેને ચા પીવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. રસ્તામાં ટેક્સી ઉભી રાખીને કોમલબેને માતાના ચા પિવડાવી હતી. ચા પીને હંસાબેન ઓમ નમઃશિવાય બોલીને ઊંઘી ગયા હતા અને ગોધરા પહોંચ્યા પછી જાણ થઇ કે હંસાબેન હવે આ દુનિયામાં રહ્યા નથી.