મુંબઈ. કોરોનાવાઈરસને કારણે લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, જેની સીધી અસર વિશ્વની દરેક ઈન્ડસ્ટ્રી પર જોવા મળી છે. એન્ટરટેઈન્મેન્ટ ઈન્ડસ્ટ્રી પણ આમાંથી બાકાત નથી. બોલિવૂડની વાત કરીએ તો 19 માર્ચથી શૂટિંગ, પ્રોડક્શન તથા નવી રિલીઝ બંધ છે. આ જ કારણે અનેક ફિલ્મના શિડ્યૂઅલ બદલાઈ ગયા છે. એ લિસ્ટર્સની કોઈ ફિલ્મ આ વર્ષે રિલીઝ થશે કે કેમ એ પણ એક સવાલ છે.
સતત બીજા વર્ષે આમિરની કોઈ ફિલ્મ રિલીઝ નહીં થાય
લૉકડાઉન પહેલાં આમિર ખાન ‘લાલ સિંહ ચઢ્ઢા’નું શૂટિંગ ચંદીગઢમાં કરતો હતો. અદ્વૈત ચંદનના ડિરેક્શનમાં બનતી આ ફિલ્મ ક્રિસમસ પર રિલીઝ થવાની હતી. જોકે, કોરોનાવાઈરસને કારણે ફિલ્મ આ વર્ષે રિલીઝ થશે નહીં. ફિલ્મના રાઈટર અતુલ કુલકર્ણીના હવાલેથી અનેક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે આ ફિલ્મ આ વર્ષે રિલીઝ થશે નહીં. જો આ વાત સાચી હોય તો સતત બીજા વર્ષે આમિરની કોઈ ફિલ્મ રિલીઝ થશે નહીં. વર્ષ 2018માં ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાં’ રિલીઝ થઈ હતી, જે બોક્સ ઓફિસ પર સુપરફ્લોપ રહી હતી.
શાહરુખની એક પણ ફિલ્મ આવશે નહીં
શાહરુખ ખાનની વર્ષ 2018માં ‘ઝીરો’ રિલીઝ થઈ હતી. ત્યારબાદ શાહરુખ ખાને કોઈ પણ ફિલ્મ સાઈન કરી નથી. માનવામાં આવતું હતું કે આ વર્ષે શાહરુખની એક ફિલ્મ આવશે પરંતુ લૉકડાઉનને કારણે હવે એક્ટરની એક પણ ફિલ્મ આવશે નહીં. હાલમાં જ એક્ટરે AskSRK સેશન હોસ્ટ કર્યું હતું. કેટલાંક યુઝર્સે આગામી પ્રોજેક્ટ્સ અંગે સવાલ કર્યો હતો. શાહરુખે કહ્યું હતું કે તેણે અત્યાર સુધી એક પણ ફિલ્મ સાઈન કરી નથી.
સલમાન ખાનની પણ મુશ્કેલી વધી
સલમાન ખાનની આ વર્ષે એક માત્ર ફિલ્મ ‘રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ’ 22 મેના રોજ રિલીઝ થવાની હતી પરંતુ લૉકડાઉન ને કારણે શૂટિંગ અટકી પડ્યું હતું. પોસ્ટ પ્રોડક્શનનું કામ પણ બાકી છે. 3 મે સુધી લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. સ્થિતિ સામાન્ય થતા ખાસ્સો સમય લાગશે. ‘રાધે’ શિડ્યૂઅલ ડેટ પર રિલીઝ થશે નહીં. ટ્રેડ એક્સપર્ટ્સના મતે, સિનેમા ની સ્થિતિ ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં જ સુધરશે. પહેલાં સ્મોલ બજેટ ફિલ્મ રિલીઝ કરવામાં આવશે. આથી જ માનવામાં આવે છે કે ‘રાધે’ આ વર્ષે રિલીઝ થશે નહીં.
વરુણ ધવનની ‘કુલી નંબર 1’ને લઈને પણ મૂંઝવણ
વરુણ ધવનની ‘કુલી નંબર 1’ આ વર્ષે પહેલી મેએ રિલીઝ થવાની હતી. જોકે, લૉકડાઉનને કારણે ફિલ્મ રિલીઝ થશે નહીં. નવી રિલીઝ ડેટ હજી સુધી અનાઉન્સ કરવામાં આવી નથી.
કાર્તિક આર્યન પણ ફસાયો
કાર્તિક આર્યનની ફિલ્મ ‘લવ આજ કલ 2’ 14 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ હતી. 31 જુલાઈએ કાર્તિકની ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’ આવવાની હતી પરંતુ ફિલ્મનું શૂટિંગ હજી સુધી પૂર્ણ થઈ શક્યું નથી. માર્ચમાં આ ફિલ્મનું લખનઉમાં એક મહિનો લાંબું શિડ્યૂઅલ હતું પરંતુ લૉકડાઉનને કારણે શૂટિંગ અટકી ગયું છે. હવે આ શૂટિંગ પૂર્ણ ક્યારે થશે અને પ્રોસ્ટ પ્રોડક્શનનું કામ ક્યારે પૂરું થશે તેના પર રિલીઝ ડેટ નક્કી કરવામાં આવશે.
અમિતાભની ‘ચેહરે’ રિલીઝ થાય તેવી શક્યતા
અમિતાભ બચ્ચનની આ વર્ષે ચાર ફિલ્મ રિલીઝ થવાની હતી, જેમાં ‘ગુલાબો સિતાબો’ 17 એપ્રિલે થવાની હતી. જોકે, આ ફિલ્મની નવી રિલીઝ ડેટ અનાઉન્સ થઈ નથી. આઠ મેના રોજ ‘ઝુંડ’ રિલીઝ થવાની હતી પરંતુ તે રિલીઝ થશે કે નહીં તે ખ્યાલ નથી. 17 જુલાઈએ ‘ચેહરે’ રિલીઝ થવાની છે. ત્યાં સુધી પરિસ્થિતિ સામાન્ય થઈ જશે તો આ ફિલ્મ રિલીઝ થઈ શકે છે. ‘બ્રહ્માસ્ત્ર’ ચાર ડિસેમ્બરે રિલીઝ થવાની છે. જોકે, હજી આ ફિલ્મનું શૂટિંગ બાકી છે.
આલિયા ભટ્ટની ‘સડક 2’ રિલીઝ થઈ શકે છે
આલિયા ભટ્ટની ‘સડક 2’ બનીને તૈયાર છે અને 10 જુલાઈએ રિલીઝ થવાની છે. જો સ્થિતિ સામાન્ય થઈ અને થિયેટર ખુલ્યા તો આ ફિલ્મ શિડ્યૂઅલ ડેટ પર રિલીઝ થશે. જોકે, આલિયાની ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ 11 સપ્ટેમ્બરે રિલીઝ થવાની હતી. આ ફિલ્મ રિલીઝ થશે નહીં. આ ફિલ્મનું શૂટિંગ જાન્યુઆરથી મે સુધી ચાલવાનું હતું. જોકે, 19 માર્ચથી ફિલ્મનું શૂટિંગ બંધ છે.