Friday, March 29, 2024
Home‘આપ’ સાંસદનો આરોપ : 11 મિનિટ પહેલાં 2 કરોડમાં વેચાયેલી જમીન ટ્રસ્ટે...
Array

‘આપ’ સાંસદનો આરોપ : 11 મિનિટ પહેલાં 2 કરોડમાં વેચાયેલી જમીન ટ્રસ્ટે 18.5 કરોડમાં ખરીદી

- Advertisement -

અયોધ્યામાં મંદિર બનાવી રહેલા શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ પર જમીન ખરીદી મામલે કૌભાંડ કરવાનો આરોપ લાગ્યો છે. આ આરોપ આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહ અને સમાજવાદી પાર્ટીના નેતા પૂર્વ મંત્રી પવન પાંડેએ લગાવ્યો છે.

5 મિનિટમાં જમીન 16 કરો઼ડ મોંઘી થઈ
સંજય સિંહે લખનઉમાં રવિવારે કહ્યું કે 18 માર્ચે ટ્રસ્ટે 18.5 કરોડ રૂ.માં સુલતાન અન્સારી અને રવિમોહન તિવારી નામના બે વ્યક્તિઓ પાસેથી જમીન ખરીદી હતી. ખાસ વાત એ છે કે આ જમીન 11 મિનિટ પહેલા જ હરીશ પાઠક અને કુસુમ પાઠક પાસેથી 2 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવી હતી. એટલે કે ફક્ત 5 મિનિટમાં જમીન 16.5 કરોડ રૂપિયા મોંઘી થઈ ગઈ. આ શ્રીરામના ભક્તોથી મળેલા દાનની સીધી લૂંટ છે.કાગળ પર અયોધ્યાના મેયર ઋષિકેશ ઉપાધ્યાય અને ટ્રસ્ટમાં સામેલ ડૉ. અનિલ મિશ્રાના હસ્તાક્ષર છે. સંજય સિંહે કહ્યું કે જે જમીન મંદિર ટ્રસ્ટે ખરીદી તેના એગ્રિમેન્ટ માટે ઈ-સ્ટેમ્પ 5:11 વાગ્યે ખરીદાયા. રવિમોહન તિવારીએ જે જમીન હરિશ પાઠકથી ખરીદી તેના ઈ-સ્ટેમ્પ 5:22 વાગ્યે ખરીદવામાં આવ્યા. આખરે ટ્રસ્ટે સ્ટેમ્પ પહેલાંથી જ કેવી રીતે ખરીદી લીધા?

સપાના નેતાની તપાસ કરવા માગ
સપા નેતા પવન પાંડેએ અયોધ્યામાં કહ્યું કે જમીન માટે ટ્રસ્ટે 17 કરોડ રૂપિયાનું આરટીજીએસ કર્યું. તપાસ થવી જોઈએ કે આ પૈસા કયા લોકોના ખાતામાં ગયા. જે જમીનને 18.5 કરોડમાં ખરીદવામાં આવી તેનું સર્કલ રેટ 5.8 કરોડ રૂપિયા છે. જમીન 1.208 હેક્ટર છે. પાંડેએ વડાપ્રધાન મોદી સમક્ષ માગ કરી છે કે ધાર્મિક ભાવનાઓ સાથે વિશ્વાસઘાત મામલે તપાસ ઈડી અને સીબીઆઈ દ્વારા કરાવવી જોઈએ.

સંતો નારાજ, કહ્યું- આરોપો મામલે જલદી તપાસ શરૂ થાય
અયોધ્યા હનુમાનગઢીના મહંત રાજૂ દાસે કહ્યું કે આ મામલો શ્રીરામ સાથે જોડાયેલો છે. તેમની ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઇએ. દોષિત જણાય તેમને બક્ષવામાં ન આવે પણ હું એમ પણ કહેવા માગું છું કે તપાસમાં સંજય સિંહ ખોટા ઠરશે તો તેમની સામે 50 હજાર કરોડ રૂ.નો બદનક્ષીનો કેસ કરીશ. રામ જન્મભૂમિના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે કહ્યું કે સત્ય બહાર લાવવા જલદી તપાસ થવી જોઇએ.

આ કેવો સંયોગ? બંને સોદામાં કોમન સાક્ષી- ટ્રસ્ટના ટ્રસ્ટી ડૉ. અનિલ મિશ્રા
પહેલાં હરીશ પાઠક અને કુસુમ પાઠક પાસેથી સુલતાન અન્સારી અને રવિમોહન તિવારીએ જમીન ખરીદી તો દસ્તાવેજમાં ડૉ. અનિલ મિશ્રા સાક્ષી નંબર-1 બન્યા. ડૉ. મિશ્રા શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટના ટ્રસ્ટી છે. કોઇ પણ પેમેન્ટના ચેક પર તેઓ જ સાઇનિંગ ઓથોરિટી છે. ત્યાર બાદ અન્સારી-તિવારીએ શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટને જમીન વેચી ત્યારે ડૉ. મિશ્રા સાક્ષી નંબર-2 બની ગયા. આ અંગે મીડિયાના કેટલાક લોકોએ અયોધ્યામાં રવિવારે તેમનો અભિપ્રાય જાણવા પ્રયાસ કર્યો પણ તેઓ દોડીને પોતાની કારમાં બેસીને જતા રહ્યા.

ચંપત રાયે ખુલાસો કર્યો- અભ્યાસ કર્યા પછી બોલીશ
રવિવારે ટ્રસ્ટની બેઠક હતી. બેઠક બાદ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય સામે આવ્યા. તેમણે મીડિયાને કહ્યું, ‘બેઠક સિવાયનો કોઇ સવાલ પૂછશો તો હું જતો રહીશ’ પણ વારંવાર પૂછાતાં બોલ્યા, ‘આરોપ તો મહાત્મા ગાંધીની હત્યાનો પણ અમારા પર મુકાયો હતો.’ દસ્તાવેજ સાથે આરોપ મુકાયો છે તેમ જણાવાતાં કહ્યું, ‘હા, હું જાણું છું. હું તૈયાર છું. અભ્યાસ કર્યા પછી બોલીશ.’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular