ગીર સોમનાથ જિલ્લામાં ભ્રષ્ટાચાર સામે લોકો નિર્ભય રીતે અવાજ ઉઠાવી શકે અને ભ્રષ્ટાચાર ડામી દેવાની મુહિમમાં એસીબીની મદદ કરી શકે તે માટે એસીબીના કર્મચારીઓએ લોકજાગૃતિ અભિયાન હાથ ધર્યુ છે. જે અંતર્ગત લોકો પાસે કામ બદલ વહીવટની માંગણી કરવામાં આવતી હોય તો એસીબીને કંઈ રીતે ફરીયાદ કરી શકાય તે અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે. લોકોને ભ્રષ્ટાચાર અંગે જાણ કરવા પણ અપીલ કરવામાં આવી છે.
ગીર સોમનાથ જિલ્લમાં કોઈપણ સરકારી કે અર્ધસરકારી સહીત સરકારના જાહેર સાહસોમાં લોકોના કામો માટે સરકારી બાબુ વહીવટ કરતા હોવાની અનેક ફરિયાદ વચ્ચે પણ કોઈ હિમ્મત કરીને આ ભ્રષ્ટાચાર સામે એસીબી સમક્ષ ફરિયાદ કરવા આગળ આવતું નથી. પરિણામે ટેબલ નીચે વહીવટ થતો જ રહે છે. આથી ગીર સોમનાથમા ભ્રષ્ટાચારને ખતમ કરવા માટે એસીબી મેદાને આવ્યું છે અને ભ્રષ્ટાચાર સામે લોકો નિર્ભય રીતે અવાજ ઉઠાવી શકે તે માટે એસીબીએ જનજાગૃતિ અભિયાન ચલાવી લોકોને કોઇ પણ જગ્યાએ સેવાના નામે વહીવટ થતો હોય તો તેની ફરિયાદ કરવા આગળ આવવાની હાકલ કરી છે.
ગીર સોમનાથ એસીબીના અધિકારીઓ જાહેર રસ્તા ઉપર ઉતરી પડ્યા છે. ગીર સોમનાથ એસીબી દ્વારા છેલ્લા કેટલાક સમયથી ભ્રષ્ટાચાર વિરોધી જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જ્યાં સમૂહમાં લોકો ભેગા થાય તેવા જાહેર સ્થળો, જાહેર રસ્તાઓ, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, જાહેર બગીચા, માર્કેટ મોલ, બજાર તેમજ માર્ગો ઉપર એસીબીના અધિકારીઓ પહોંચીને લોકોને સમજાવે છે કે, કોઈ પણ સરકારી કચેરી કે સરકારના હસ્તકના કોઈ પણ વિભાગમાં પ્રજાના સેવાના કામે અધિકારી કે કર્મચારીઓ ઉપરના પૈસા એટલે કે લાંચ માંગે તો નીડર બનીને એસીબી નો 1064 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.