વાઘોડિયાના યુવાન સાથે લગ્ન કરીને પિયરમાં ગયેલી યુવતી પરત ફરી ન હતી અને લગ્ન માટે રોકડ તેમજ દાગીના સહિત કુલ રૃા.૧.૮૭ લાખની મત્તા યુવતી તેમજ તેને સાથ આપનાર શખ્સોએ પરત નહી કરતાં દુલ્હન સહિત ત્રણ મહિલા મળી કુલ છ ભેજાબાજો સામે ફરિયાદ નોધાઇ છે.
વાઘોડિયામાં રહેતા વેપારીએ પોલીસ સ્ટેશનમાં નોધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે મારી દુકાન પર ભરવાડીયાપુરા ગામમાં રહેતો ગોવિંદ ચતુરભાઇ પ્રજાપતિ અવારનવાર આવતો હોવાથી તેને મારા નાના પુત્રના લગ્ન માટે કોઇ કન્યા હોય તો જણાવજો તેમ કહ્યું હતું. ગોવિંદે જણાવેલ કે મારો મિત્ર પ્રવિણભાઇ પટેલ છે તેને ઘણા લગ્નો કરાવ્યા છે તે છોકરીઓ શોધી આપે છે. બાદમાં ગોવિંદે પ્રવિણભાઇનો સંપર્ક થયા બાદ વેપારીને જણાવેલ કે એક છોકરી છે, શિનોરના માલસર ખાતે રહે છે આપણે ત્યાં જોવા માટે જવું હોય તો ગાડી કરો.
ફેબુ્રઆરી માસમાં ઇકો ગાડી કરીને અમે માલસર ખાતે ડોગરેજી મહારાજના આશ્રમ ખાતે ગયા હતા અને ત્યાં એક રૃમમાં અમે કન્યા કર્ણાવતી ફરજીભાઇ વસાવા (રહે.ધોલર, તા.નાંદોદ, જિલ્લો નર્મદા) તેમજ પ્રવિણભાઇ અને તેમના પત્ની મીનાબેનને મળ્યા હતાં. પ્રવિણે જણાવેલ કે કન્યાના માતા-પિતા નથી જેથી તેની સારસંભાળ અમે કરીએ છીએ અને તેના લગ્ન પણ અમારે કરવાના છે. કન્યા અમને પસંદ આવતા દાગીના તેમજ રોકડ રૃા.૧.૫૦ લાખ આપવાનું નક્કી થયું હતું.
તા.૨૩ ફેબુ્રઆરીના રોજ અમે વડોદરાના કાલાઘોડા ખાતે લોખંડવાલા બિલ્ડિંગમાં ગૌરીબેનના ઘેર ગયા હતા અને ત્યાં વિધિપૂર્વક લગ્ન કર્યા બાદ કર્ણાવતીને ઘેર લઇ આવ્યા હતાં. બે દિવસ ઘેર રહ્યા બાદ પ્રવિણભાઇ તેને ઘેર લઇ ગયા હતા અને બે દિવસ બાદ તેડી જજો તેમ કહ્યું હતું. બે દિવસ બાદ મારો પુત્ર તેમજ અન્ય માલસર ગયા ત્યારે પ્રવિણે જણાવેલ કે કર્ણાવતી બહાર ગઇ છે પરત આવશે એટલે મૂકી જઇશ. પરંતુ કર્ણાવતી પરત આવી ન હતી અને પ્રવિણ વારંવાર વાયદા બતાવતો હતો.