અમદાવાદઃ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 નાબૂદ કર્યા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રથમવાર ગૃહ રાજ્ય ગુજરાતની મુલાકાતે આવશે. અમિત શાહ રક્ષા બંધન તહેવારને પગલે 11 ઓગસ્ટના રોજ અમદાવાદ આવી રહ્યા છે અને તેમની આ મુલાકાતને લઈ તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે. તેમજ એરપોર્ટ પર પણ તેમનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ વખતે 15 ઓગસ્ટના રોજ રક્ષા બંધન હોવાથી અમિત શાહ વહેલી રક્ષા બંધન ઉજવવા આવશે. ત્યાર બાદ તેઓ સ્વાતંત્ર્યદિનની ઉજવણી માટે દિલ્હી જવા નીકળી જશે.
હાલ ભાજપનું સંગઠન પર્વ ચાલી રહ્યું હોવાથી અમિત શાહ તેમાં પણ હાજરી આપે એવી શક્યતા છે. અમિત શાહની આ મુલાકાતને પગલે રાજકીય વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચા મુજબ, ભાજપ સંગઠનમાં ફેરબદલ અને મંત્રી મંડળનું વિસ્તરણ પણ કરવામાં આવી શકે છે. આ ઉપરાંત બોર્ડ નિગમોમાં પણ નિમણૂંકો કરવામાં આવી શકે છે.