અમદાવાદ: વરસાદ બાદ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળ્યો છે. તેમાં સાદા મેલેરીયા, ઝેરી મેલેરીયા, ડેંગ્યુ, ચીકન ગુનીયા વગેરે કેસોમાં વધારો થયો છે. આમ હાલ અમદાવાદીઓ રોગચાળાના ભરડામાં આવ્યા છે. ખાસ કરીને શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતા લોકો રોગચાળાનો શિકાર બન્યા છે. દુષિત પાણી અને અખાદ્ય પદાર્થના કારણે લોકો બીમાર પડી રહ્યા છે. ઓગસ્ટના એક જ અઠવાડિયામાં 150 જેટલા દર્દી નોંધાયા છે. જેમાં ઝાડા ઉલ્ટી, કમળો અને ટાઈફોઈડના 70 જેટલા કેસો નોંધાયા છે. જુલાઈમાં ડેન્ગ્યુના કેસમાં 21% વધારો થયો અને ફાલ્સિપેરમના કેસમાં 44%નો વધારો થયો છે.
જુલાઈમાં ઝેરી મેલેરિયાના 25, ડેંગ્યુના 105 અને ચિકનગુનિયાના 13 કેસ
શહેરમાં વકરી રહેલી પ્રદૂષિત પાણીની સમસ્યાના કારણે પાણીજન્ય રોગચાળો વધી રહ્યો છે. શહેરમાં ગત સપ્તાહ દરમ્યાન થયેલ ત્રણચાર ઈંચ વરસાદના પગલે મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે. જેમાં મેલેરીયાના 150 દર્દીઓ નોંધાયા છે. ગત જુલાઈ માસમાં ઝાડા ઉલ્ટીના 911 કેસો, કમળાના 453 અને ટાઈફોઈડના 639 કેસો અને કોલેરાના 7 કેસો નોંધાયા છે. જયારે સાદા મેલેરિયાના 654, ઝેરી મેલેરિયાના 25, ડેંગ્યુના 105 અને ચિકનગુનિયાના 13 કેસો નોંધાયા છે. આમ શહેરમાં રોગચાળો વકર્યો છે અને મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર માત્ર નોટિસો અને દંડ વસુલ કરી સંતોષ માની રહી છે.