અમદાવાદમાં મણિનગર ગાદી સંસ્થાન સ્વામિનારાયણ મંદિર કરજીસણનો 45મો પાટોત્સવ ઉજવાયો હતો. સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી મહારાજે સ્વામિનારાયણ ભગવાન, જીવનપ્રાણ અબજીબાપા અને સ્વામિનારાયણ ગાદીના જીવનપ્રાણ મુક્તજીવન સ્વામીબાપાની મૂર્તિઓનો ષોડશોપચાર વિધિથી પૂજન- અર્ચન કરીને આરતી ઉતારી હતી.
અધ્યાત્મસભર કાર્યક્રમો યોજાયા હતા
સ્વામિનારાયણ ગાદી ગ્રંથ તથા જીવનપ્રાણ અબજીબાપાની વાતોની સમૂહ પારાયણો, સંતો-મહંતોના પ્રવચનો, કથાવાર્તા, પરમ પૂજય આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજના આશીર્વાદ વગેરે અધ્યાત્મસભર કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે જીતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજે આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે અક્ષરધામ તુલ્ય ભવ્ય મંદિરનું સર્જન મુક્તજીવન સ્વામીબાપા તથા વેદરત્ન આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે કરી આપ્યું છે. તો આપણાં બાળકો, યુવાનોનું જીવન સુસંસ્કારી, નિયમશીલ બને તે માટે મંદિરનું નિર્માણ કરે છે.
દર્શનના નિયમથી સારા સંસ્કારોનું સિંચન થશે
જો બાળકને સંસ્કાર આપ્યા હશે તો બાળકો પણ સચવાશે સાથે સાથે ધન વારસો પણ સચવાશે. વડીલો, વૃદ્ધોએ, ખાસ નાનાં બાળકોને પોતાની પાસે બેસાડીને રમત ગમતમાં સંસ્કાર આપવાનાં, મંદિરનાં દર્શને લાવવાના, આ ફરજ દાદા દાદીની થાય છે. પછી માતા પિતાની ફરજ બને છે કે રોજ મંદિરે દર્શન કરવા મોકલવા. બધાએ આ ખટકો રાખવાનો છે. યુવાનો દરરોજ સવારે ભગવાનનાં દર્શનનો નિયમ રાખશો તો તમે જે જે કાર્યો કરશોને તેમાં ભગવાન ભેગા ભળશે.
કરજીસણ ગામમાં સત્સંગની અભિવૃદ્ધિ થઈ
36 વખત સ્વામિનારાયણ ભગવાન પધાર્યા હતા તથા જીવનપ્રાણ અબજીબાપા તેમજ નાદવંશીય પરંપરાના ચરણોથી અનેકવાર પાવન થયેલી આ કરજીસણની ભૂમિ. નીડર સિદ્ધાંતવાદી સદગુરુ ઈશ્વરચરણદાસજી સ્વામીબાપા તથા સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર જીવનપ્રાણ મુક્તજીવન સ્વામીબાપાએ આ ભૂમિ પર પધારી કારણ સત્સંગના બીજ રોપ્યાં હતા. મુક્તજીવન સ્વામીબાપા તથા વિશ્વવાત્સલ્યમહોદધિ પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના અવિરત વિચરણથી કરજીસણ ગામમાં સત્સંગની અભિવૃદ્ધિ થઈ.