ભુજ: પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે જ આ હૃદયદ્રાવક તસવીર માત્ર સુધરાઈ જ નહિ સૌ માટે શરમજનક છે. 33 કરોડ દેવતાનો જેમાં વાસ છે, તેવી ગૌમાતાને ભુજમાં ઘાસ મેળવવા માટે દોઝખમાં કલાકો સુધી ઉભવું પડે તે પરિસ્થિતિ હોય ત્યારે સહેજે એવો પ્રશ્ન ઉભો થાય કે, સુધરાઈના સત્તાધીશોને ગાયોની આ નર્ક જેવી હાલત નહિ દેખાતી હોય ? ભીડની ઘાસચારા માર્કેટ વર્ષોથી આ સ્થળે છે. વરસાદ પડે કે તરત અહીં પાણી ભરાઈ જાય, જે ઉલેચવામા ન આવતા કીચડ બની જાય છે. ગાય આ કાદવમાં ઘાસ માટે કલાકો સુધી ઉભી રહે છે, જેને પરિણામે પગની ખરીમાં જીવાત પડે અને દર્દથી પીડાય છે. ભુજ નગરપાલિકા પાસે શહેરમાં અનેક ફાજલ જમીન છે, અને કરોડોની ગ્રાન્ટ, જેની રાશિમાંથી આયોજનબધ્ધ ઘાસ માર્કેટ બની શકે, પરંતુ કોઈ પણ કારણસર ત્યાંથી ખસેડાતી નથી.
ગાય માલિકોને પરવા નથી તે દુઃખદ છે
દાંડીવાળા હનુમાન મંદિરના પૂજારી ઝવેરગર ચંચળગર ગોસ્વામીએ જણાવ્યું હતું કે, ભીડનાકા બહાર ચરા માર્કેટ દાયકાઓથી છે, પણ વર્ષા ઋતુમાં ગાયની દયનીય હાલત જોવાતી નથી. ગત વર્ષે નગરપાલિકાએ વાડા જેવું બનાવ્યું છે, પણ તેનો કોઈ અર્થ નથી રહેતો. ગાયમાલિકો દૂધ દોહી અને આ નર્ક જેવી જગ્યાએ છોડી મૂકે છે. કરોડોની રકમ શહેરના વિકાસ માટે વાપરતી સુધરાઇ ગૌમાતા માટે પણ સારી વ્યવસ્થા ઉભી કરે તે જરૂરી છે.