અમદાવાદ. રાજ્યમાં 8 જૂનથી મંદિરો અને ધાર્મિક સ્થાનો ખોલવાની મંજૂરી આપતા મોટાભાગના મંદિરો ખુલી ગયા હતાં. અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળીનું મંદિર કન્ટેઈન્ટમેન્ટ ઝોન અને કોટ વિસ્તારમાં હોવાથી ખુલ્યું ન હતું. જોકે પોલીસ અને કોર્પોરેશન તંત્ર સાથે ચર્ચા બાદ આજે સવારે નગરદેવી ભદ્રકાળી માતાજીનું મંદિર ખુલ્યું હતુ. 77 દિવસ બાદ મંદિર ખુલતાં લોકોએ માતાજીના દર્શન કર્યા હતા.
માતાના મંદિરને ખોલ્યા પહેલા સેનેટાઈઝ કરવામાં આવ્યું
અમદાવાદમાં 8 જૂને ઇસ્કોન મંદિર અને સરસપુર રણછોડ મંદિર જ ખુલ્યા હતા. નગરદેવી ભદ્રકાળી અને જમાલપુરમાં આવેલું ભગવાન જગન્નાથજીનું મંદિર ખુલ્યું ન હતું. બંને મંદિર કોટ વિસ્તારમાં હોવાથી પોલીસ અને કોર્પોરેશન સાથે ચર્ચા બાદ ખોલવાનો નિર્ણય લેવાયો હતો. મંગળવારે ચર્ચા બાદ સાંજે ભદ્રકાળી મંદિર અને પરિસરને સેનેટાઈઝ કરવામાં આવ્યું હતું અને આજે સવારથી મંદિર ખુલ્યું હતું. મંદિરના ગર્ભગૃહમાં કોઈને પ્રવેશ આપવા આવશે નહિ. મંદિરની બહાર સોશિયલ ડિસ્ટનસ જળવાય તે માટે ગોળ કુંડાળા પણ કરવામાં આવ્યા છે.