અમદાવાદના હીતેશ ખોરસીયાએ 2016માં પેનાસોનિક કંપનીનો સ્માર્ટ ફોન ખરીદ્યો પણ ખરીદીના એક જ કલાકમાં ફોનમાં હિટિંગ થવા લાગતા તેમણે શોરૂમમાં ફરિયાદ કરી હતી. વેપારીએ ફોન બદલી ન આપતા તેમાં માત્ર સોફ્ટવેર અપડેટ કર્યું હતું. જેના કારણે પણ વધુ ગરમ થાય તેની ડિસ્પ્લે ઊડી ગઈ હતી. આ સામે ગ્રાહકે ફોન બદલી આપવા અથવા રિપેર કરી આપવા બે વખત ફરિયાદ કરી, પરંતુ ગ્રાહકને કોઈ સંતોષકારક જવાબ ન આપતા અંતે તેમણે કન્ઝ્યુમર કોર્ટમાં ફરિયાદ કરી હતી.
કોર્ટે કહ્યું નવો હેન્ડસેટ આપવો પડશે કે કિંમત ચૂકવવી પડશે
કોર્ટે ગ્રાહકના પક્ષમાં હુકમ કર્યો કોર્ટે પોતાના હુકમમાં આદેશ કર્યો છે કે, ચાઇના મોબાઇલ સ્ટોર અને પેનાસોનિક ઇલેક્ટ્રોનિકને એક મહિનામાં મોબાઇલ હેન્ડસેટ સંપૂર્ણ રીતે રિપેરિંગ કરી કોઇપણ ચાર્જ વસૂલ કર્યા વગર ફરિયાદીને પરત કરવો પડશે. જો તેઓ આમ ન કરે તો તેમણે હેન્ડસેટ બદલીને નવો આપવો પડશે અથવા તો ફોનની સંપૂર્ણ કિંમત ચૂકવવી પડશે. આ સાથે છેલ્લા 5 વર્ષમાં ફરિયાદીને થયેલા માનસિક ત્રાસ અને હાડમારી તથા હેરાનગતિના વળતર પેટે પણ દંડ ભરવા કોર્ટે આદેશ કર્યો છે. કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું છે કે, ગ્રાહકને થયેલી હેરાનગતિના બદલે તેને 1000 રૂપિયા તેમજ અરજીના ખર્ચ પેટે 1000 રૂપિયા ચૂકવવા પડશે.
ગ્રાહકે 5 વર્ષ ચાલે એવી આશાએ મોબાઈલ ખરીદ્યો હતો
એડવોકેટ આનંદ પરીખે જણાવ્યું કે, અરજદાર કોર્ટે આ કેસમાં અવલોકન કર્યું કે આવી રીતે કોઈ વસ્તુનું વેચાણ કરીને કંપનીએ છટકી જવું ન જોઈએ. હું માનું છું કે આ અરજદારે 5 વર્ષ મોબાઈલ ચાલે એ આશાથી ખરીદી કરી હોય પરંતુ તેના પૈસાની તે સમયે ઉપજ નીવડી નહીં. કોર્ટે આ મામલે ડીલર અને શો રૂમને ફોનની કિંમત ચૂકવવા અથવા ફોન બદલી આપવા માટે હુકમ કર્યો છે. સાથે 2000નું વળતર પણ ફરીયાદીને આપવા માટે આદેશ કર્યો છે.