રાજ્યમાં મ્યુકરમાઇકોસિસ નામનો રોગ લોકોમાં હાહાકાર મચાવી રહ્યો છે. સરકાર દ્વારા પણ આ રોગને મહામારી તરીકે જાહેર કરવામાં આવ્યો છે. સરકારે અમદાવાદમાં SVP હોસ્પિટલમાં ઈન્જેક્શન આપવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે આજે સવારથી જ દર્દીનાં સ્વજનો ઈન્જેક્શન લેવા માટે SVP હોસ્પિટલ પાસે લાઈનો લગાવીને ઊભાં છે, પરંતુ અવ્યવસ્થાને કારણે તેમને ધરમધક્કો પડ્યો છે, પરંતુ હવે SVPને બદલે એમ્ફોટેરેસિન-બીનાં ઇન્જેક્શનનો જથ્થો LG હોસ્પિટલ ખાતેથી અપાશે એવી જાહેરાત કરવામાં આવી છે.
સારવારનો ખર્ચ પણ લાખો રૂપિયામાં છે
મ્યુકરમાઈકોસિસના અમદાવાદ સહિતનાં શહેરોમાં કેસમાં વધારો થઈ રહ્યો છે. સરકાર દ્વારા પણ આ મુદ્દે ગંભીર નોંધ લઈને એને મહામારી જાહેર કરેલી છે. આ બધાની વચ્ચે દર્દીનો સારવારનો ખર્ચ પણ લાખો રૂપિયામાં છે. એની દવાઓ પણ હાલમાં મળવી મુસીબત સમાન છે. લોકો દવાઓ માટે પણ હવાતિયાં મારી રહ્યા છે. બીજી તરફ, સરકાર દ્વારા પણ આ દવા SVP હોસ્પિટલમાં આપવાની જાહેરાત કરી હતી. એ માટે એક પ્રક્રિયોમાંથી પસાર થવાનું હોય છે. લોકોએ પોતાનાં સ્વજનોને બચાવવા માટે ઇન્જેકશન લેવા દોટ મૂકી છે, જેને લીધે આજે SVP હોસ્પિટલ બહાર લાંબી લાઈન લાગી હતી.
અવ્યવસ્થાને કારણે લોકોને ભારે તકલીફો પડી
SVP હોસ્પિટલ ઈન્જેકશન લેવા આવેલા લોકોના જણાવ્યા અનુસાર, અહીં કઈ રીતે દવા મળશે, કોને ક્યારે મળશે એની માહિતી આપવની કોઈ વ્યવસ્થા નથી, જેને લીધે લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. એક તરફ, પોતાનાં સ્વજનોનો જીવ બચાવવા માટે પરિવારજનો ભારે તકલીફમાં મુકાયાં છે તો બીજી તરફ, અવ્યવસ્થાને કારણે વધારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
દર્દીને અંદાજે 12 લાખનાં ઈન્જેકશન આપવાં પડે છે
મ્યુકરમાઈકોસિસની સારવાર કેન્સર અને કિડનીની બીમારી કરતાં પણ વધુ ખર્ચાળ સાબિત થઈ રહી છે. મ્યુકરમાઈકોસિસની સારવાર પાછળ દર્દીએ 1 મહિનામાં 12થી 40 લાખ સુધીનો ખર્ચ કરવો પડે છે. સિવિલ હોસ્પિટલના સિનિયર ઈએનટી સર્જન ડૉ. કલ્પેશ પટેલે કહ્યું હતું કે મ્યુકરમાઈકોસિસના દર્દીઓ માટે હાલ લાઇપોઝોમલ ઈન્જેક્શન ઉપયોગમાં લેવાય છે. દર્દીના વજન પ્રમાણે એના ડોઝ નક્કી થાય છે. એક ઈન્જેક્શનની કિંમત 7 હજારની આસપાસ થાય છે, એટલે કે 6 ઈન્જેક્શન પાછળ કુલ ખર્ચ આશરે 42 હજાર થાય છે. એક દર્દીને 30 દિવસ સુધી સળંગ આ ડોઝ આપવો પડે છે, એટલે અંદાજે એક દર્દીને સારવાર દરમિયાન 90થી 100 ઈન્જેક્શનની જરૂર પડે છે.
ખાનગી હોસ્પિટલમાં ઇન્જેક્શન જ નથી
સિવિલમાં જ મ્યુકરમાઈકોસિસના 450થી વધુ દર્દી સારવાર હેઠળ છે. શહેરની ખાનગી હોસ્પિટલોમાં પણ મોટી સંખ્યામાં આ બીમારીના દર્દીઓ દાખલ છે. લાઇપોઝોમલ ઈન્જેક્શનની માર્કેટમાં ભારે અછત છે. સરકારી હોસ્પિટલોમાં પણ ઈન્જેક્શનનો ખૂબ મર્યાદિત સ્ટોક આવી રહ્યો છે. ખાનગી હોસ્પિટલોમાં દાખલ દર્દીઓ માટે તો ઈન્જેક્શન જ ઉપલબ્ધ નથી. ખાનગી હોસ્પિટલોમાં દાખલ દર્દીઓને પણ લાઇપોઝોમલ ઈન્જેક્શન મળી શકે એ માટે રાજ્ય સરકારે ગુરુવારે પોલિસીમાં ફેરફાર કર્યો છે અને અમદાવાદની ખાનગી હોસ્પિટલોને આ ઈન્જેક્શન પૂરાં પાડવા એસવીપી અને સોલા સિવિલ હોસ્પિટલને નોડલ એજન્સી બનાવી છે. રાજ્યના અન્ય 6 જિલ્લા માટે પણ 6 મેડિકલ કોલેજને નોડલ એજન્સી બનાવી છે.
ઇન્જેક્શન માટે આ પુરાવા આપવા પડશે
દાખલ દર્દીના કેસની વિગત (ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન તેમજ કેસની હિસ્ટ્રીશીટ)
દર્દીના આધારકાર્ડની નકલ
મ્યુકરમાઈકોસિસના નિદાનની નકલ
સારવાર આપતા ડોક્ટરનો ભલામણપત્ર