અમદાવાદમાં આઝાદીનો અમૃત મહોત્સવ અને દાંડી યાત્રાના કાર્યક્રમમાં ભાગ લેવા માટે વડાપ્રધાન મોદી અમદાવાદ આવ્યાં હતાં. બીજી બાજુ કોંગ્રેસ દ્વારા આજે ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસની રેલી શરુ થાય તે પહેલાં કોંગ્રેસના નેતાઓ અને ધારાસભ્યને નજરકેદ કરી લેવામાં આવ્યાં હતાં. તે ઉપરાંત કોંગ્રેસે એવો પણ આક્ષેપ કર્યો હતો કે અમારી યાત્રા શરુ થાય તે પહેલાં જ ટ્રેક્ટરની હવા કાઢી નાંખવામાં આવી છે. ત્યારે હવે કોઈ પણ સંજોગોમાં કોંગ્રેસ યાત્રા કાઢવા માટે મક્કમ છે. ત્યારે કોંગ્રેસની યાત્રાને રોકવા માટે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કોંગ્રેસ પક્ષની દાંડી યાત્રા પરમિશન વગર કાઢતાં કોંગ્રેસના નેતા અમિત ચાવડા, સિદ્ધાર્થ પટેલ, પરેશ ધાનાણી સહિતના કાર્યકરો અને નેતાઓની અટકાયત કરવામાં આવી.. કોંગ્રેસ ઓફીસ બહારથી જ અટકાયત કરવા આવી હતી.
કોંગ્રેસના નેતાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું
તંત્રએ કોંગ્રેસના આયોજન પર ધોંસ બોલાવી
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને ગાંધીનગર એમએલએ ક્વાટર ખાતે નજરકેદ કરવામાં આવ્યા છે. આ સિવાય અન્ય નેતાઓને પણ નજરકેદ રાખવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ કોંગ્રેસે ટ્રેક્ટર રેલી માટે એકઠા કરેલા ટ્રેક્ટરના ટાયરની હવા કાઢી નાખવામાં આવી.યાત્રા માટે એકઠા કરાયેલા સામાનમાં તોડફોડ કરવામાં આવી. જ્યાં ટ્રેક્ટર એકઠા કર્યા હતા એ પાર્ટી પ્લોટની બહાર પોલીસ ખડકી દેવાઇ છે. આમ છતાં કોંગ્રેસ દાંડીયાત્રા રૂટ પર ટ્રેક્ટર સત્યાગ્રહ કરવા મક્કમ છે. દર વરસે કોંગ્રેસ દાંડી યાત્રા કાઢતી હોવા છતા આ વખતે મંજૂરી ન અપાતા સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસે ટ્રેક્ટર યાત્રા કાઢવાની તૈયારી કરી હતી. જો કે તંત્રએ રાતથી જ કોંગ્રેસના આયોજન પર ધોંસ બોલાવી હતી.
અમિત ચાવડાએ રાજ્યપાલને લખ્યો પત્ર
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ રાજ્યપાલને પત્ર પણ લખ્યો છે. કોંગ્રેસની દાંડીયાત્રાને સાબરમતી આશ્રમથી મંજૂરી ન મળતા પત્ર લખ્યો છે. તેમણે મંજૂરી માટે હસ્તક્ષેપ કરવાની માગણી કરી છે. તેમના જણાવ્યાં મુજબ કોંગ્રેસના નેતાઓએ ગાંધીજીના એક આહ્વાન પર જીવ ન્યોછાવર કર્યા. 1930ની દાંડિયાત્રા સંઘર્ષનું સોપાન છે. વડાપ્રધાન પ્રથમવાર દાંડીયાત્રા કરી રહ્યા છે તે આવકાર્ય છે. પણ સાથે સાથે કોંગ્રેસ પક્ષને પોતાના વડવાઓએ કરેલા સંઘર્ષને સ્મરણ કરવાનો હક છે. વડાપ્રધાનના કાર્યક્મ બાદ કોંગ્રેસ પક્ષને યાત્રાની મંજુરી આપવા હસ્તક્ષેપ વિનંતી કરી.