નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ છે કે, રાજ્યના જિલ્લાઓમાં જિલ્લા સેવા સદનો, તાલુકા સેવા સદનો, અન્ય કચેરીઓ અને આવાસો અદ્યતન સુવિધાઓ સાથે ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. આ વર્ષે અમદાવાદ શહેરમાં રૂ.135 કરોડના ખર્ચે નિર્માણ થનાર સરકારી કર્મચારીઓના આવાસો માટે રૂ.45 કરોડની જોગવાઇ કરાઇ છે.
તેમણે ઉમેર્યુ કે, અમદાવાદ, લુણાવાડા, ધાનેરા અને વઘઇ ખાતે કર્મચારીઓના રહેણાંક માટે રૂ.101.36 કરોડના ખર્ચે 448 યુનિટના કામો પૂર્ણ કરાયા છે. જ્યારે અમદાવાદ, રાજકોટ અને નવસારી ખાતે રૂ. 207.79 કરોડના ખર્ચે હાથ ધરાયેલ વિવિધ કક્ષાના 776 રહેણાંકના આવાસોના કામો પ્રગતિ હેઠળ છે. સરકારી કામકાજ અર્થે સરકારી તાલુકા સેવા સદનમાં આવનાર નાગરિકોને વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના આશયથી ડોલવણ, શિનોર, ગારીયાધાર, કુકરમુંડા અને ઉચ્છલ ખાતે રૂ.41.61 કરોડના ખર્ચે તાલુકા સેવા સદનના કામો પૂર્ણ કરાયા છે જ્યારે ખેડા, શહેરા, ગરૂડેશ્વર, વાઘોડિયા, પાટડી, કોડીનાર અને કડી ખાતે રૂ. 79.61 કરોડના ખર્ચે આ કામો પ્રગતિ હેઠળ છે. તેમણે કેહ્યું કે, માર્ગ-મકાન વિભાગ સરકારી કચેરી/આવાસ સાથે વિવિધ સરકારી કોલેજો, હોસ્ટેલ સહિત અન્ય કામગીરી પણ કરે છે. જેમાં વિવિધ વિભાગોના જુદા-જુદા મકાનોના રૂ.955 કરોડના ખર્ચે નિર્માણ થનાર 545 કામો પૈકી 243 કામો પૂર્ણ કરાયા છે.