ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે. રાજ્યના ચાર મહાનગરોમાં સંક્રમણ વધુ પ્રમાણમાં ફેલાઈ રહ્યું છે. અમદાવાદમાં છેલ્લા એક સપ્તાહથી 600 જેટલા કેસ નોંધાઈ રહ્યાં છે. જેને લઈને સિવિલ મેડિસિટી કેમ્પસ ની 1200 બેડ ની કોવિડ હોસ્પિટલ માં દર્દીઓ માટે વ્યવસ્થા કરી દેવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનની જરૂરિયાત વાળા દર્દીઓની સંખ્યા વધી રહી છે. જો હજી વધુ કેસ વધશે તો નવા દર્દીઓને સિવિલ કેમ્પસની અન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે.
1200 બેડની હોસ્પિટલમાં વ્યવસ્થા કરાઈ
સિવિલ હોસ્પિટલના સુપ્રિડેન્ટેન્ડ ડો.જે. પી.મોદી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે શહેરમાં ફરીથી કોરોનાના કેસ દિવસે દિવસે વધી રહ્યા છે. જેને લઈને 1200 બેડની હોસ્પિટલમાં તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. ડોક્ટરની ટીમ અને તમામ સાધન સામગ્રી પૂરતા પ્રમાણ ઉપલબ્ધ છે. હાલ તો હોસ્પિટલમાં 920 બેડ ખાલી છે પણ વધતા કેસ ને ધ્યાનમાં રાખીને જરૂર પડશે તો મેડિસિટી કેમ્પસની કિડની હોસ્પિટલ અને યુ.એન.મહેતા હોસ્પિટલમાં કોવિડના દર્દીઓને દાખલ કરી તે હોસ્પિટલને કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલ જાહેર કરાશે. અત્યારે જે કેસ વધી રહ્યા છે તેમાં ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓની સંખ્યા વધી રહી છે.
ટ્રોમાં સેન્ટરમાં રોજના 600 જેટલા લોકોને રસી અપાય છે
જે.પી.મોદીએ વધુમાં કહ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં કોરોના વેક્સિનેશન પણ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં અત્યાર સુધી 17 હજાર લોકોએ વેક્સિનનો પહેલો ડોઝ લીધો છે અને 9 હજાર જેટલા લોકોએ વેક્સિનનો બીજો ડોઝ પણ લઈ લીધો છે. સિવિલ હોસ્પિટલના જુના ટ્રોમાં સેન્ટરમાં રોજના 600 જેટલા લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે.1 લી એપ્રિલ થી 45 વર્ષ થી વધુ વયના લોકોને વેક્સિન આપવામા આવશે.
સિવિલ હોસ્પિટલના સુપ્રિડેન્ટેન્ડ ડો.જે. પી.મોદી
લોકોને વેક્સિન સરળતાથી મળી રહી છે
લોકોને સરળતાથી વેક્સિન મળી રહે તેવી વ્યવસ્થા આ હોસ્પિટલમાં કરવામાં આવી છે. પરંતુ લોકોને ખોટો ભ્રમ હોય છે કે વેક્સિન લીધા પછી અમને કોરોના નહીં થાય.એવું નથી વેક્સિન લીધા પછીના થોડા દિવસો બાદ 90 ટકા જેટલી એન્ટીબોડી બને છે જે તમને કોરોના સામે રક્ષણ આપે છે પણ લોકો જો માસ્ક ન પહેરે અને ભીડમાં ભેગા થાય તો કોરોનાનું સંક્રમણ ફેલાવાની શકયતા વધારે છે. એટલે લોકોને અપીલ છે કે તેઓ માસ્ક તો આવશ્યક પહેરે અને વેક્સિન પણ લે.
અમદાવાદમાં સતત 600થી વધુ નવા કેસ
એક સમયે કોરોનાનું હોટસ્પોટ અને ડેથસ્પોટ રહેલા અમદાવાદમાં કોર્પોરેશનની ચૂંટણી અને ક્રિકેટ મેચને પગલે ઉત્તરોત્તર કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. શહેર અને જિલ્લામાં સતત ચોથા દિવસે 600થી વધારે કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં શહેર અને જિલ્લામાં 612 નવા કેસ અને 587 દર્દી સાજા થયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 3 દર્દીના મોત થતાં મૃત્યુઆંક 2,348 પર પહોંચ્યો છે. અગાઉ 16 મેના રોજ અમદાવાદમાં હાઈએસ્ટ 973 કેસ નોંધાયા હતા.