રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને તેના પરિણામોની ઉજવણી બાદ કોરોનાના કેસો બેફામ ગતિએ વધ્યા છે. કોરોનાની બીજી લહેર શરૂ થઈ છે. રાજ્યમાં રોજના 2000થી વધુ કેસો નોંધાઇ રહ્યા છે. અમદાવાદમાં 600થી વધુ કેસો આવી રહ્યા છે ત્યારે હવે કોરોનાની સારવાર કરતી ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ભરાઈ રહી છે. માત્ર 15 જ દિવસમાં 12 હોસ્પિટલો અને 700 બેડ વધારવાની ફરજ પડી છે. ખાનગી હોસ્પિટલમાં ચાર ગણા દર્દીઓ દાખલ થયા છે. 13 માર્ચે ખાનગી હોસ્પિટલમાં 377 દર્દીઓ દાખલ હતા જેમાં 25 લોકો વેન્ટિલેટર પર હતા જ્યારે 29 માર્ચ સુધીમાં દર્દીઓની સંખ્યા 1606 અને વેન્ટિલેટર પર 105 દર્દીઓ દાખલ છે.
ICUમાં 230 અને 105 દર્દીઓ વેન્ટિલેટર પર
29 માર્ચ સવારે 9.30 સુધી અમદાવાદની AMC દ્રારા કોરોનાની સારવાર માટે જાહેર કરવામાં આવેલી કુલ 81 ખાનગી હોસ્પિટલમાં 2966માંથી 1360 જેટલા બેડ ખાલી છે. જ્યારે 2 જેટલા કોવિડ સેન્ટરમાં 194 બેડમાંથી 14 લોકો એડમીટ છે અને 175 જેટલા બેડ ખાલી છે. અમદાવાદની 81 જેટલી ખાનગી હોસ્પિટલોમા કોરોનાની સારવાર લેતા દર્દીઓની વાત કરીએ તો કુલ 2966 બેડમાંથી આઇસોલેન વોર્ડમાં 595 બેડ, HDUમાં 676, ICUમાં 230 અને ICUમાં વેન્ટિલેટર પર 105 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. જ્યારે કોવિડ કેર સેન્ટરમાં માત્ર 19 દર્દીઓ જ સારવાર લઈ રહ્યા છે.
હોસ્પિટલો અને બેડ વધારવાની ફરજ પડી
13 માર્ચના રોજ અમદાવાદની 63 જેટલી ખાનગી હોસ્પિટલોમા કોરોનાની સારવાર લેતા દર્દીઓની વાત કરીએ તો કુલ 2272 બેડમાંથી આઇસોલેન વોર્ડમાં 179 બેડ, HDUમાં 130, ICUમાં 43 અને ICUમાં વેન્ટિલેટર પર 25 દર્દીઓ સારવાર લઈ રહ્યાં હતા. જ્યારે કોવિડ કેર સેન્ટરમાં એકપણ દર્દી સારવાર લઈ રહ્યો ન હતો. હાલના સમયમાં કોરોના બેકાબુ બન્યો છે ત્યારે ખાનગી હોસ્પિટલો અને બેડ વધારવાની ફરજ પડી છે.
શું છે અમદાવાદની સ્થિતિ?
એક સમયે કોરોનાનું હોટસ્પોટ અને ડેથસ્પોટ રહેલા અમદાવાદમાં કોર્પોરેશનની ચૂંટણી અને ક્રિકેટ મેચને પગલે ઉત્તરોત્તર કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. શહેર અને જિલ્લામાં ગઈ કાલે સતત ચોથા દિવસે 600થી વધારે કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં શહેર અને જિલ્લામાં 612 નવા કેસ અને 587 દર્દી સાજા થયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 3 દર્દીના મોત થતાં મૃત્યુઆંક 2,348 પર પહોંચ્યો છે. અગાઉ 16 મેના રોજ અમદાવાદમાં હાઈએસ્ટ 973 કેસ નોંધાયા હતા. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 71,387 થયો છે. જ્યારે 66,924 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.
રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 12 હજારને પાર
રાજ્યમાં છેલ્લા 37 દિવસથી નવા દર્દીની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી નોંધાઇ રહી છે. અગાઉ 20 ફેબ્રુઆરીએ નવા દર્દી કરતા સાજા થનારની સંખ્યા વધારે હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં 3 લાખ 3 હજાર 118 રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 4,500 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 2 લાખ 86 હજાર 577 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 12,041 એક્ટિવ કેસ છે, જેમાંથી 149 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 11,892 દર્દીની હાલત સ્થિર છે.