શહેરના દાણીલીમડા-બહેરામપુરા વિસ્તારમાં કેમિકલ ઉદ્યોગો ધમધમતા હોઈ તેના દૂષિત પાણીને જાહેર રોડ પર છોડવાથી લોકો ભારે હાલાકી ભોગવે છે. તંત્ર અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સમક્ષ આ અંગે વારંવાર રજૂઆત કરાયા બાદ પણ કેટલાક હપ્તાખાઉ અધિકારીઓના કારણે કેમિકલના ધંધાર્થીઓ સામે કોઈ પગલાં લેવાતાં નથી.જોકે સ્થાનિક લોકોએ મ્યુનિ. કચેરીમાં હોબાળો મચાવતાં છેવટે તંત્ર હરકતમાં આવ્યું હતું અને પ્લાસ્ટિકની ત્રણ ફેકટરીને સીલ મારીને રપ હજારનો દંડ વસૂલ્યો હતો. શહેરમાં ખાસ કરીને પૂર્વ પટામાં કેમિકલયુક્ત પાણીની સમસ્યા કેટલાક અધિકારીઓ અને ધંધાર્થીઓની મિલીભગતને સતત વકરતી જાય છે.
નિકોલ અને વસ્ત્રાલમાં લોકોનાં ઘરનાં નળમાં લાલ રંગનું રગડા જેવું કેમિકલયુક્ત પાણી વહેતું હતું. જાહેર રસ્તા પર કેમિકલયુક્ત પાણી ઠલવાતા હોઈ તેમાંથી પસાર થતા લોકોને ચામડીના રોગ પણ થાય છે.
ખાસ કરીને ખારીકટ કેનાલમાં કેમિકલયુક્ત પાણીનાં ટેન્કરો રાત્રીના સમયે ઠાલવવાની પ્રવૃત્તિ આજે પણ જોરશોરથી ચાલુ છે. અમુક લેભાગુ ધંધાર્થીઓ પોતાના કેમિકલયુક્ત પાણીને તંત્રની ડ્રેનેજ લાઇન કે સ્ટ્રોમવોટર લાઇનમાં બેધડક ઠાલવે છે.
આ તમામ પ્રવૃત્તિના મ્યુનિસિપલ તંત્રના ઈજનેર વિભાગના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓનો સહયોગ સતત મળતો હોઇ સરવાળે તો સ્થાનિક લોકોને પરેશાન થવું પડે છે. બહેરામપુરા-દાણીલીમડા વિસ્તાર પણ કેમિકલયુક્ત પાણીના ત્રાસથી વર્ષોથી કુખ્યાત છે.આ વિસ્તારમાં ધમધમતી ફેકટરીઓના માલિકોના તંત્ર સાથેના વહીવટના કારણે લોકો તોબા પોકારી ગયા છે. તાજેતરમાં આ સમસ્યાએ સિટીઝનનગર,અસરગ્રસ્ત કોલોની પાસે ઉગ્ર રૂપ ધારણ કરતાં લોકોમાં ભારે રોષ ફેલાયો હતો અને સ્થાનિક કોર્પોરેટર શહેજાદ પઠાણ ઉર્ફે સનીબાબા અને બહેરામપુરા વોર્ડના કોંગ્રેસ ના માઈનોરિટી સેલના પ્રમુખ જાવેદ શેખના નેતૃત્વ હેઠળ સેંકડો લોકોએ દક્ષિણ ઝોનની કચેરીમાં ભારે હોબાળો મચાવ્યો હતો.
સ્થાનિક લોકોની રજૂઆતના પગલે તંત્ર પણ હરકતમાં આવ્યું હતું અને દક્ષિણ ઝોનના સોલિડવેસ્ટ મેનેજમેન્ટ વિભાગના સ્ટાફે સન પોલિકાસ્ટર, આર.પી. પ્લાસ્ટિક અને એ.એફ મેટલ નામના ત્રણ એકમો પર ત્રાટકીને તેને સીલ માર્યાં હતા.
આ અંગે વધુ માહિતી આપતા સોલિડવેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ડાયરેકટર હર્ષદ સોલંકી કહે છે કે તંત્રનું અખાદ્ય લાઈસન્સ મેળવ્યા વિના તેમજ તેને રિન્યુ કરાયાં વિના ધંધો કરતા આ એકમો પર દરોડા પડાયા હતા અને પ્રતિ એકમ રૂ.રપ હજારનો દંડ વસૂલાયો હતો.
જ્યારે જાવેદભાઇ કહે છે કે, અમારી સાથે તંત્રની ટીમ અમારા વિસ્તારમાં આવી હતી પરંતુ મ્યુનિ. સ્ટાફને જોઇને કેમિકલયુક્ત પાણી, ઓઇલ વગેરેને રોડ પર ઢોળીને લોકોને મુશ્કેલીમાં મૂકનાર ધંધાર્થીઓ રફુચક્કર થઇ ગયા હતા. જોકે અમને મ્યુનિ. કોર્પોરેશનના સત્તાવાળાઓએ આ અંગે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં તંત્ર પોતે ફરિયાદ કરશે તેવી ખાતરી આપી છે