શહેરી વિસ્તારમાં માળખાકીય સુવિધાઓ ઉભી કરવા, મોટા બ્રિજ બનાવવા જેવા વિકાસના કામો માટે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ફાળવવામાં આવતી ગ્રાન્ટની રકમથી કેટલીક રકમ મ્યુનિ. માત્ર શહેરના તૂટેલા રોડ સુધારવા માટે જ વાપરી નાખે છે. હલકી ગુણવત્તાના મટીરિયલથી બનતાં રોડ સામાન્ય વરસાદમાં પણ તૂટી જાય છે. છેલ્લા 4 વર્ષમાં મ્યુનિ.એ 2.25 કરોડથી વધારેની રકમ તો માત્ર તૂટેલા રોડ રિસરફરેશ કરવામાં વાપરી નાંખી છે.
રાજ્યના તમામ શહેરમાં વિકાસ, લોકોની સુખાકારીના કામો થાય તે માટે રાજ્ય સરકાર સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના બનાવી તે હેઠળ ફંડ અપાય છે. અત્યાર સુધીમાં અમદાવાદ મ્યુનિ.ને 2009થી 2020-2021 સુધીમાં કુલ રૂ. 6339 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ છે. આ તમામ વચ્ચે મ્યુનિ. દ્વારા 2 કરોડ તો તૂટેલા રોડ રિસરફેસ કરવા પાછળ જ વાપરી નાખ્યા છે. 2015-16માં મ્યુનિ.એ રોડ રિસરફેસ કરવા માટે રૂ. 130.38 કરોડની ગ્રાન્ટ વાપરી નાંખી હતી. તો 2017 – 2018માં પણ મ્યુનિ.એ 75 કરોડની ગ્રાન્ટ રોડ રિસરફેસ કરવા માટે જ વાપરી નાંખી હતી. તે ઉપરાંત 2020-2021માં પણ મ્યુનિ. દ્વારા 25.83 કરોડની ગ્રાન્ટ ગ્રાન્ટ રોડ રિસરફેસ માટે જ વાપરી નાંખી છે.
શહેરમાં હલકી ગુણવત્તાના બનતાં રોડમાંં ભારે ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે. તે બાબતે અગાઉ હાઇકોર્ટ દ્વારા પણ ગંભીર નોંધ લઇ સુઓમોટો રિટ લીધી હતી. જે મામલામાં મ્યુનિ.ના અધિકારીઓ સામે હાઇકોર્ટના આદેશથી પગલા પણ લેવામાં આવ્યા હતા.
શહેરમાં અત્યારે પડેલા સામાન્ય વરસાદમાં પણ રસ્તા પરની કપચી ઉખડી ગઇ છે. અને પવન સાથે ઉડતી કપચી નાગરિકોની આંખને નુકસાન કરી રહી છે. શહેરના અનેક રોડ પણ બિસ્માર હાલતમાં છે ત્યારે પણ ભાજપ સત્તાધીશો માત્ર શહેરમાં વિકાસ થઇ રહ્યો હોવાની વાતો કરે છે. વિકાસ માટે આવેલી રકમ મ્યુનિ.ના ભ્રષ્ટાચારના ખાડા પુરવામાં વપરાઇ રહી છે.
7 બ્રિજના 33.5 કરોડમાંથી 6.73 કરોડ ખર્ચાયા
શહેરની સુખાકારી માટે જે ફંડનો ઉપયોગ કરવાનો છે તે ફંડ હેઠળ વર્ષ 2019-2020માં શહેરમાં 7 ફ્લાય ઓવર બ્રિજ બનાવવા માટે રૂ. 33.5 કરોડની ફાળવણી કરવામાં આવી હતી. જોકે 7 ફ્લાય ઓવર જે ખરેખર લોકોની સુખાકારી માટે બનાવવાના છે તેની પાછળ માંડ રૂ. 6.73 કરોડનો જ ખર્ચ થયો છે.