સરકારી એરલાઈન્સ એર ઈન્ડિયાના મુસાફરોનો ડેટા લીક થવાનો મામલો સામે આવ્યો છે. રિપોર્ટના અનુસાર, ડેટા સેન્ટર પર સાયબર સિક્યોરિટીનો અટેક થયો હતો અને એના હેઠળ ડેટા ચોરી થઈ છે. આ અટેક આ જ વર્ષે ફેબ્રુઆરીમાં થયો હતો. એર ઈન્ડિયાએ પોતાની વેબસાઈટ પર આ માહિતી આપી છે.
કંપનીના જણાવ્યા પ્રમાણે, આ સાયબર સિક્યોરિટી હુમલામાં મુસાફરોની પર્સનલ જાણકારી ચોરી કરવામાં આવી છે. એમાં લગભગ 45 લાખ મુસાફરોનો ડેટા ચોરી થયો છે. એમાં દેશ અને વિદેશના મુસાફરો સામેલ છે. કંપનીના જણાવ્યા પ્રમાણે, આ વૈશ્વિક સ્તરે તેના મુસાફરો સાથે થયું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ક્રેડિટ કાર્ડની ડિટેઈલની પણ ચોરી થઈ છે.
મુસાફરોને જાણકારી આપવામાં આવી
અસરગ્રસ્ત મુસાફરોને મોકલવામાં આવેલી માહિતીમાં કંપનીએ કહ્યું હતું કે આ ડેટા ચોરી 26 ઓગસ્ટ 2011 અને 20 ફેબ્રુઆરી 2021ના રોજ થઈ હતી. આ સાયબર સિક્યોરિટી અટેકમાં નામ, જન્મ તારીખ, કોન્ટેક્ટ ડિટેઈલ્સ, પાસપોર્ટ ડિટેઈલ્સ, ટિકિટની જાણકારી, સ્ટાર એલાયન્સ અને એર ઈન્ડિયા ફ્રિકવન્ટ ફ્લાયરના ડેટા ચોરી થયા છે. સ્ટાર એલાયન્સ વૈશ્વિક કંપની છે, જેની સાથે એર ઈન્ડિયાનું ટાઇઅપ છે. ફ્રિક્વન્ટ ફ્લાયરનો અર્થ છે તે મુસાફર, જે હંમેશાં એર ઈન્ડિયા દ્વારા મુસાફરી કરી છે.
ક્રેડિટ કાર્ડનો ડેટા પણ ચોરી
જોકે કંપનીએ એ પણ કહ્યું હતું કે ક્રેડિટ કાર્ડનો ડેટા ચોરાયો છે, પરંતુ એમાં CVV અથવા CVC નંબર ચોરી નથી થયો. CVV નંબર કાર્ડની પાછળ 3 અંકમાં હોય છે, જેને પેમેન્ટ માટે દાખલ કરવો જરૂર હોય છે.
કંપનીના જણાવ્યા પ્રમાણે, આ ડેટા ચોરી SITA PSSથી ચોરી થયો છે જે મુસાફરોની સેવા માટે ડેટા પ્રોસેસરનું કામ કરે છે. એ ડેટા સ્ટોર કરવા અને પ્રોસેસ કરવા માટે જવાબદાર હોય છે. કંપનીએ જણાવ્યું હતું કે 25 ફેબ્રુઆરી 2021ના રોજ આ બાબતે પહેલી વખત જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ 25 માર્ચ અને 5 એપ્રિલ 2021ના રોજ જાણકારી આપવામાં આવી.
ઘટનાની તપાસ થઈ રહી છે
કંપનીના જણાવ્યા પ્રમાણે, ડેટાને સુરક્ષિત રાખવા માટે ડેટા સિક્યોરિટીની ઘટનાઓની તપાસ કરવામાં આવી રહી છે. એ ઉપરાંત એક્સટર્નલ સ્પેશિયાલિસ્ટને ડેટા સિક્યોરિટી ઘટના માટે કામ પર રાખવામાં આવ્યા છે. એર ઈન્ડિયાના FFP પ્રોગ્રામનો પાસવર્ડ પણ બદલવામાં આવી રહ્યો છે. એર ઈન્ડિયાના જણાવ્યા પ્રમાણે, તેણે મુસાફરોને તેમના પાસવર્ડને બદલવા માટે કહ્યું છે, જેથી ડેટા સુરક્ષિત રહે.