ભારતમાં પ્રદૂષણની સમસ્યા એમાં પણ ખાસ કરીને વાયુ પ્રદૂષણ દિવસે ને દિવસે વિકરાળ સ્વરૂપ લઈ રહ્યું છે. પ્રદૂષણના કારણે દર વર્ષે દેશમાં અનેક લોકોનાં મૃત્યુ થાય છે. વાયુ પ્રદૂષણથી શ્વસન સંબંધિત રોગો થવાની સાથે હૃદય રોગનું જોખમ તો વધે જ છે પણ સાથે વાયુ પ્રદૂષણ હાયપરટેન્શન એટલે કે હાઈ બ્લડ પ્રેશરનું કારણ પણ બની રહ્યું છે. આ વાત તાજેતરમાં થયેલા એક અભ્યાસના પરિણામમાં બહાર આવી છે.
તાજેતરમાં થયેલા એક અભ્યાસ અનુસાર, ભારતમાં ઘરની અંદર થતાં વાયુ પ્રદૂષણનાં ઉચ્ચ સ્તરની પકડમાં આવવાથી હાઈ બ્લડ પ્રેશરનું જોખમ વધી જાય છે. સ્પેનમાં બાર્સેલોના ઇન્સ્ટિટ્યુટ ફોર ગ્લોબલ હેલ્થ (IAS ગ્લોબલ)ના સંશોધકોએ આ અભ્યાસ કર્યો છે. આ અભ્યાસનાં પરિણામો પરથી એ વાત સામે આવી છે કે, એવી મહિલાઓ જે ઘરમાં વાયુ પ્રદૂષણના ઉચ્ચ સ્તરનો સામનો કરી રહી છે, તેમને હાઈ બ્લડ પ્રેશર થવાની શક્યતા વધારે રહે છે.
આ અભ્યાસમાં હૈદરાબાદ શહેરની નજીક વસેલા 28 ગામોની 5,531 મહિલાઓને સામેલ કરવામાં આવી હતી. સંશોધકોએ હવામાં રહેલા કણો (PM 2.5) અને કાર્બન બ્લેકની માત્રાને બ્લડ પ્રેશર સાથે જોડીને જોયું. આ સાથે સંશોધનમાં સામેલ લોકોની સામાજિક તેમજ આર્થિક જીવનશેલી અને ઘરેલું સ્થિતિ વિશે પણ સર્વેક્ષણ કર્યું હતું. જેમાં મહિલાઓમાં અનુક્રમે 1.4mm અને 0.87mm હાયર સિસ્ટોલિક અને ડાયાસ્ટોલિક બ્લડ પ્રેશરનો વધારો જોવા મળ્યો અને 46% મહિલાઓમાં હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા જોવા મળી.
અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું કે મહિલાઓ દિવસનો 83% સમય રસોડામાં પસાર કરે છે, જ્યારે પુરુષોમાં આ આંકડો 57% જોવા મળ્યો. રસોડામાં ગેસમાંથી નીકળતો ધુમાડો મહિલાઓના સ્વાસ્થ્યને વધુ અસર કરતો જોવા મળ્યો. તેથી, મહિલાઓમાં વાયુ પ્રદૂષણથી હાઈ બ્લડ પ્રેશરનું જોખમ વધી શકે છે એવું તારણ નીકળ્યું. સંશોધકો દ્વારા કરવામાં આવેલું આ રિસર્ચ જર્નલ એપિડેમિયોલોજીમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે.