- Advertisement -
શક્તિપીઠ અંબાજી માં અંબાનું પ્રાચીન અને પૌરાણિક પીઠ તરીકે જગવિખ્યાત છે. વર્ષે દહાડે લાખો કરોડો માઈ ભક્તો માં અંબાના દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે પણ અંબાજી ગામની પાયાની સુવિધાઓ ઠેર ની ઠેર છે. કોરોના કહેરમા અંબાજી મંદિરની આવકમા પણ ભારે ઘટાડો થયો છે. બીજી તરફ અંબાજી મંદિરથી
જી. પી. બ્રહ્મભટ્ટ ગયા બાદ કાયમી વહીવટદારની નિમણુંક કરવામાં આવી નથી જે ગંભીર બાબત છે. અંબાજી મંદિર ખાતે કાયમી વહીવટદારની નિમણુંક સરકાર તરફથી સમયસર ન થવાને લીધે અંબાજી મંદિર ટ્રસ્ટ માં ગેરરીતિની બૂમો અવારનવાર સાંભળવા મળતી હતી અને 24 જાન્યુઆરીની પોલીસ ફરીયાદ એ આ બાબત ને સમર્થન આપ્યું છે ! પણ નવાઈની વાત એ છે કે આ ડીઝલ કૌભાંડમા મોટા માથા બચી ગયા છે. તેવી ચર્ચા અંબાજી પંથક મા સાંભળવા મળી રહી છે.
24 જાન્યુઆરી 2021 ની પોલીસ ફરીયાદમા જણાવ્યા મુજબ ઓગસ્ટ 2020 થી ડિસેમ્બર 2020 સુધીના ગાળામાં અંબાજી મંદિર ની બે ફોર વિલ્હર ગાડીઓ અને જનરેટર માટે 1445 લીટર ડીઝલ જેની કુલ કિંમત 1 લાખ 12 હજાર 738 રૂપિયા થાય છે. અંબાજી મંદિર ટ્રસ્ટની ગાડી નંબર જી.જે 8 V 4161 અને જી.જે. 8 V 3703 અને જનરેટરમા 35 ડીઝલ બિલો, ખોટા બિલો, ખોટી સહીઓ કરી ટ્રસ્ટના ખોટા સિક્કાઓ લગાવી બિલો રજુ કર્યા હતા. આ ડીઝલ કૌભાંડમા 2 આરોપી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ આરોપીએ ખોટા બિલો પાસ કરાવવા માટે વહીવટદાર કચેરી ખાતે મોકલી આપ્યા હતા. જે બાબતે અંબાજી મંદિરના વહીવટદાર એસ. જે. ચાવડાને શંકા જતા તેમને બિલની ખરાઈ કરાવતા પેટ્રોલ પંપના બિલો અને પાવતીઓમા શંકા લાગતા પેટ્રોલ પંપના CCTV ચેક કરાવતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
શંકરજી ફતાજી પરમાર બન્યા ફરીયાદી.
1985 થી ટ્રસ્ટમાં પ્લમ્બર પમ્પમેંન ની નોકરી કરતા શંકરજી છેલ્લા 2 વર્ષ થી ઇન્ચાર્જ હેડ વાયરમેન નો ચાર્જ સંભાળે છે. તેમને આ ડીઝલ કૌભાંડમા અંબાજી પોલીસ મથકે કાયદેસરની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં મુખ્ય આરોપી રાકેશભાઈ વીરાભાઇ રાઠોડ (અંબાજી મંદિર ટ્રસ્ટનો કર્મચારી) અને ભુરાભાઇ પાબુભાઈ બેગડીયા (ભવાની ઓટોમોબાઇલ્સનો કર્મચારી) સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
કઈ કઈ કલમો લગાવવામાં આવી.
અંબાજી પોલીસે આ બે આરોપીઓ સામે કુલ 7 કલમો લગાવી હતી જેમા 406,408,465,467,468,471 અને 114 હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો હતો. જેની તપાસ પી. કે. લીંબાચીયા PSI ચલાવી રહ્યા છે.
અંબાજી મંદિર ટ્રસ્ટે અલગ પેટ્રોલપંપ થી ડીઝલ લેવું જોઈએ.
અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ડીઝલ કૌભાંડ બહાર આવતા માઈ ભક્તોની આસ્થા ને ભારે ઠેસ પહોંચી છે ત્યારે દેવસ્થાન ટ્રસ્ટ તરફથી અંબાજીના અન્ય પંપોથી ડીઝલ લેવું જોઈએ. અંબાજી મા હાલમા ઘણા પેટ્રોલ અને ડીઝલ પંપ આવેલા હોઈ. ટ્રસ્ટ તરફથી હવે અન્ય પંપોથી ડીઝલ અને પેટ્રોલ લેવું જોઈએ તેવી માંગ ઉઠવા પામી છે.
મોટા માથા બચી ગયા ?
અંબાજી મંદિર ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ છે. આ મંદિરનો વહીવટ સરકાર હસ્તક ચાલી રહ્યો છે. વધુ મા આ મંદિરની કમિટીમા કલેક્ટર, ડી.એસ.પી સહીતના મોટા મોટા અધિકારીઓ જોડાયેલા છે. તો આ ડીઝલ કૌભાંડની તપાસ વિજિલન્સને સોંપવામાં આવે તો મોટા મોટા માથા ના નામ ચોક્કસ બહાર આવી જાય. આટલું મોટું કૌભાંડ ચોથા વર્ગના કર્મચારી એકલા કઈ રીતે કરી શકે ? અંબાજી મંદિર ટ્રસ્ટનો મોટાભાગનો વહીવટ કોન્ટ્રાકટ પદ્ધતિથી ચાલી રહ્યો છે. અને કોઈ ગેરરીતિ કે કૌભાંડ કરે તો તેની સામે ખાતાકીય તપાસ થઇ સકતી નથી. આ બાબતે સરકારે યોગ્ય પગલાં ભરે જેથી બીજીવાર કોઈ આવી ભૂલો ના કરે.
રિપોર્ટર : મહેશ સેનમા, CN24NEWS, દાંતા, અંબાજી.