અમદાવાદમાં બિલ્ડર નઝીર વોરા વિરૂદ્ધ ફરીવાર તંત્રએ કાર્યવાહી કરી છે. શહેરના જુહાપુરા વિસ્તારમાં ટીચર્સ કોલોનીનું ગેરકાયદેસર એપાર્ટમેન્ટ તોડાવામાં આવ્યુ. આગાઉ જુહાપુરા વિસ્તારમાં નઝીર વોરાની 10 થી વધુ દુકાનો કોર્પોરેશન વિભાગ દ્વારા તોડી પાડવામાં આવી હતી. ત્યારે ફરીવાર પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા નઝીર વોરા વિરૂદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જુહાપુરા- સરખેજ વિસ્તારમાં પોતાની ધાક જમાવીને લોકોની જમીન પડાવી અનેક ગુના આચરનાર નઝીર વોરાનું વેજલપુરમાં ટીચર્સ કોલોની પાસે આવેલું ચાર માળનું ગેરકાયદેસર કોમર્શિયલ કમ રેસિડેન્ટ બાંધકામ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડવામાં આવી રહ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ઉત્તર પશ્ચિમ ઝોનની એસ્ટેટ વિભાગની ટીમ આજે સવારથી જ ટીચર્સ કોલોનીમાં આવેલા ઝોયા રેસિડેન્સી ખાતે જેસીબી મશીન અને અલગ અલગ સાધનો સાથે પહોંચી અને બાંધકામ તોડવાની પ્રક્રિયા શરૂ કરી છે. વેજલપુર અને સરખેજ પોલીસના બંદોબસ્ત સાથે નઝીર વોરાના આ ગેરકાયદેસર બાંધકામને તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે.
નઝીર વોરાએ મકતમપુરા વોર્ડમાં ઝોયા રેસિડેન્સીના નામે કોમર્શિયલ બાંધકામમાં ચાર માળનું રેસિડેન્ટ બાંધકામ ઉભું કરી દીધું હતું. કોર્પોરેશન દ્વારા અત્યાર સુધી આ બાંધકામને નજર અંદાજ કરી દેવાયું હતું. પરંતુ પોલીસ દ્વારા નઝીર વોરા સામે કડક કાર્યવાહી કરવામાં આવતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેનું ગેરકાયદે બાંધકામ તોડવાની પ્રક્રિયા શરૂ કરાઇ છે.