અમદાવાદ: સેટેલાઇટ વિસ્તારમાં રહેતા વેપારી પાસે અજાણ્યા શખ્સે રૂપિયા 15 લાખની ખંડણી માંગી હોવાની ફરિયાદ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. જો ખંડણીની રકમ નહીં આપે તો તેના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે. સેટેલાઇટ પોલીસે નંબરના આધારે ખંડણી માંગનાર અને ધમકી આપનાર શખ્સની શોધખોળ શરૂ કરી છે.
સેટેલાઇટ વિસ્તારમાં ભાવનિર્જર પાસે આવેલી સત્યાગ્રહ છાવણીમાં લેન નંબર 18માં રહેતા કિરણભાઇ ત્રિવેદી નામના વેપારીને સતત બે દિવસથી અજાણ્યા નંબર પરથી ધમકી આપવામાં આવી હતી. સોમવારે વહેલી સવારે અને મંગળવારે મોડી રાત્રે અજાણ્યા નંબર પરથી કિરણભાઇના મોબાઇલ પર ફોન આવ્યો હતો અને રૂપિયા 15 લાખના ખંડણીની માંગ કરી હતી. જો 15 લાખ નહીં આપે તો તેના પુત્રને જાનથી મારી નાખશે આવી ધમકી આપવામાં આવતા કિરણભાઇએ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે મોબાઇલ નંબરના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી છે.