વોશિન્ગ્ટન: પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન અત્યારે અમેરિકાના પ્રવાસે છે. સોમવારે તેમની રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત થવાની છે. આ પહેલા રવિવારે ઇમરાને પાકિસ્તાની અમેરિકન્સને એક ઇન્ડોર સ્ટેડિયમમાં સંબોધન કર્યું. આ કાર્યક્રમમાં બલોચ કાર્યકર્તાઓએ બલૂચિસ્તાનની આઝાદીના નારા લગાવ્યા. સુરક્ષાદળોએ તેમને બહાર મોકલી દીધા હતા. ત્યાં ભાષણમાં ઇમરાને કહ્યું કે જેલમાં બંધ પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફને કોઇ પણ પ્રકારની સુવિધા નહીં આપવામાં આવે. તેમને એક અપરાધી તરીકે ત્યાં રહેવુ પડશે.
અમેરિકામાં ઘણા બલોચ કાર્યકર્તા રહે છે. તેઓ પાકિસ્તાની આર્મી દ્વારા તેમના પર થયેલાં અત્યાચારનો મુદ્દો ઉઠાવતા રહે છે. છેલ્લા બે દિવસોથી બલોચ કાર્યકર્તાઓ બેનર લઇને ટ્રમ્પથી અપીલ કરી રહ્યા છે કે ઇમરાન સાથેની મુલાકાતમાં બલૂચિસ્તાનમાંથી ગાયબ થઇ રહેલા લોકોનો મુદ્દો ઉઠાવે.
‘નવાઝને ઘરનું ભોજન જોઇએ છે’
એવો દાવો કરવામાં આવ્યો છે કે નવાઝને જેલમાં ઘરનું ભોજન અને એરકંડીશનની સુવિધા મળી છે. તેના પર ઇમરાને કહ્યું, ‘નવાઝ જેલમાં ઘરનું ભોજન ખાવા ઇચ્છે છે. તેઓ એરકંડીશનમાં રહેવા માગે છે. પરંતુ આપણા દેશમાં અડધી આબાદી પાસે ટીવી કે એરકંડીશન જેવી સુવિધાઓ નથી. જો આ સુવિધાઓ તેમને આપી દઇએ તો આ કઇ પ્રકારની સજા હશે ?’
‘પાકિસ્તાન પરત ફરીને હું એ વાતની ખાતરી કરીશ કે નવાઝને કોઇ પણ પ્રકારની સુવિધા ન મળે. હું જાણુ છું કે પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન)’ના નેતઆ અને નવાઝના પૂત્રી મરિયમ તેના વિરુદ્ધ અવાજ ઉઠાવશે. હું તેમને એટલું જ કહેવા માંગુ છું કે દેશમાંથી લૂટેલા પૈસા પાછા આપે. બસ આ જ એક રસ્તો છે. ‘
એરપોર્ટ પર ઇમરાનનું કોઇએ સ્વાગત ન કર્યું
ઇમરાન ત્રણ દિવસના અમેરિકી પ્રવાસે પહોંચ્યા હતા. તેમના સ્વાગત માટે ટ્રમ્પ સરકાર તરફથી કોઇ અધિકારી એરપોર્ટ પર પહોંચ્યા નહીં. તેમનું સ્વાગત તેમના વિદેશ મંત્રી શાહ મહેમુદ કુરેશી ને રાજદૂત અસદ ખાને કર્યું.
તેઓ કતાર એરવેઝની ફ્લાઇટથી અહીં પહોંચ્યા હતા. અમેરિકામાં પાકિસ્તાનના રાજદૂત અસદ ખાનના સત્તાવાર નિવાસસ્થાનમાં તેઓ રોકાયા છે. આ પહેલા 2015માં નવાઝ શરીફ પાકિસ્તાનના પ્રધાનમંત્રી તરીકે અમેરિકાના પ્રવાસે પહોંચ્યા હતા. ઇમરાનની આ પહેલી અમેરિકાની યાત્રા છે.