અમરેલી જીલ્લાના રાજુલાના ધારેશ્વર ગામે એક વ્યક્તિને પોતાના ઘરમાં સુશોભન માટે ચિતલ નામના વન્ય પ્રાણીના ટ્રોફી શીંગડા લગાવવા ભારે પડ્યા છે.આ શીંગડા 1975ની સાલમાં એક વ્યક્તિ પોતાના પુત્રના લગ્નમાં ગીર ગયા હોય તે સમયે અહીં લાવ્યા હતા, સમગ્ર માહિતી રાજુલા રેન્જના વનવિભાગને મળતા તપાસ હાથ ધરી 47 વર્ષ બાદ શખ્સ સામે ગુન્હો નોંધાયો હતો અને તેની સામે વનવિભાગએ કાર્યવાહી હાથ ધરી છે.
શેત્રુંજય પાલીતાણા વન્યજીવ ડિવિઝન હેઠળ આવતી રાજુલા રેન્જના ધારેશ્વર ગામે રહેતા બચુભાઈ માધુભાઈ સોજીત્રા જે 1975ના અરસામાં પોતાના પુત્રની જાનમાં ગીર ગયેલ હતા. તે દરમિયાન ત્યાંથી ચિતલ નામના વન્ય પ્રાણીના શીંગડા ટ્રોફી એક નંગ સાથે લાવેલ બાદમાં પોતાના ઘરે સુશોભન માટે દીવાલ ઉપર લગાડવામાં આવેલ હતા. આ અંગે વનવિભાગને ગુપ્ત માહિતી મળતા તેના ઘરે રેઇડ કરી તપાસ કરતા તેની સામે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી
આ અંગે ગુન્હા માંડવાળ કરવા માટે રાજુલા રેન્જના વનવિભાગની ટીમ દ્વારા રૂ.20,000/- એડવાન્સ રિકવરી જમા લઈ જામીન પર મુક્ત કર્યા જ્યારે મહત્વની વાત એ છે 45 વર્ષ પહેલા કરેલા ગુનાનો આજે ખુલાસો થયો હતો.