રાજકોટ. લોકાડઉનની સૌથી અવળી અસર વ્યસની લોકોમાં થઇ રહી છે. સરકારે તમાકુ, બીડી, મસાલા, ગુટખા વેચવા અને ખાવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. ત્યારે વ્યસની લોકો અકળાયા છે અને ન ભરવાના પગલા ભરી રહ્યા છે. રાજકોટના એસટી વર્કશોપ પાછળ આંબેડકરનગર વિસ્તારમાં રહેતા ધનદીપ નાનજીભાઇ પરમાર (ઉ.વ.18)નામના યુવાનને મસાલાનું વ્યસન છે. પરંતુ લોકડાઉનને કારણે છેલ્લા ત્રણ દિવસથી મસાલો મળ્યો ન હોય મગજ ભમતો હોવાનું રટણ કરતો હતો. આખરે કંટાળીને એસીડ પી લીધું હતું. આવો આક્ષેપ પરિવારજનોએ કર્યો છે. જો કે, પરિવારજનોએ સારવાર માટે તેને સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે.
રાજકોટમાં 2 લોકોએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું છે
ગઇકાલે 14 મેના રોજ રાજકોટના રૈયા રોડ પર વૈશાલીનગર 10માં રહેતા બાબુભાઇ લક્ષ્મણભાઇ પરમાર નામના આધેડને લોકડાઉનમાં બીડી ન મળતા વંદા મારવાનો પાવડર ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બાબુભાઇને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બાદમાં તેની તબીયત સારી હોવાથી હોસ્પિટલ દ્વારા રજા પણ આપવામાં આવી હતી. તેમના પુત્રે CN24NEWS સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારા પિતાને બીડી અને દારૂ પીવાનું વ્યસન છે. પરંતુ તેને આ વસ્તુ ન મળતા આવું પગલુ ભરી લીધું હતું. બે દિવસ પહેલા જ કુવાડવામાં 95 વર્ષના વૃદ્ધે બીડી ન મળતા આપઘાત કરી લીધો હતો. જ્યારે અન્ય એક યુવાનને તમાકુ ન મળતા અગ્નિસ્નાન કરી લીધું હતું.