પંચમહાલ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલી સરકારી આર્ટ્સ અને સાયન્સ કોલેજ મોરવા હડફ ખાતે કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી એવી અગ્નિપથ યોજના વિશે માહિતી આપવાનો સેમિનાર યોજાયો હતો. મળતી માહિતી પ્રમાણે સરકાર દ્વારા તાજેતરમાં અમલમાં આવેલી એવી અગ્નિપથ યોજના વિશે કોલેજના યુવાનોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. આ સંદર્ભે સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ મોરવા હડફના યુવાનોને અગ્નિવીર બનવા માટેની વિગતવાર માહિતી આપવામાં આવી.
કોલેજના આચાર્યશ્રી ડો. કે જી છાયાએ યુવાનોને દેશસેવામાં પોતાના જીવનનાં ચાર વર્ષ સમર્પિત કરવાની હાકલ સાથે અગ્નિપથ યોજનામાં જોડાવા માટેની લાયકાત, શારીરિક કસોટી અંગેની જાણકારી, પગારધોરણ, નોકરીમાં મળતા લાભો યોજના પુરી થયા પછી મળનારા ભવિષ્યના લાભો વગેરે વિશે વિગતવાર માહિતી આપીને ઉપસ્થિત યુવાનોને આ યોજનામાં જોડાવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરતાં ગુજરાતી વિષયના વ્યાખ્યાતા સહાયક ડો. રાજેશ વણકરે મોરવા હડફ તાલુકાના ડોળી ગામના કારગિલ શહીદવીર રૂમાલસિંહ રજાતસિંહ બારીયાની કુરબાનીને યાદ કરી હતી. દેશભક્તિનો માહોલ સર્જી આપ્યો હતો. કાર્યક્રમના અંતે આ યોજનામાં જોડવા માગતા યુવાનોની યાદી બનાવીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ રીતે આદિવાસી વિસ્તારમાં યુવાનોને રોજગારી પ્રાપ્ત થાય તથા તેઓ દેશભક્તિ તરફ વળે એવો સરાહનીય પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.