આણંદ શહેરના પરીખભુવન વિસ્તારમાં આવેલા દવેના કુવા નજીક રૂ.૮૮ લાખની માતબર રકમના ખર્ચે નવનિર્માણ પામેલી પાણીની ઓવરહેડ ટાંકીમાં પાણી ભરવાની શરૂઆત સાથે જ ટાંકીમાં ઠેર ઠેર લિકેજ માલુમ પડયું છે. ત્યારે નગરપાલિકાના પ્રમુખના વોર્ડમાં જ નિર્માણ પામેલી ટાંકીના નિર્માણ કાર્યમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાના આક્ષેપ ઉઠયા છે.
આણંદના વોર્ડ નં.૧૧માં આવેલા પરીખભુવનના દવેના કુવા વિસ્તારમાં તાજેતરમાં આણંદ નગરપાલિકા દ્વારા સરકારના ૧૫માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી આઠ લાખ લિટર કેપેસીટી ધરાવતી પાણીની આરસીસી ઓવરહેડ ટાંકી તૈયાર કરવામાં આવી છે. રૂ.૮૮ લાખના ખર્ચે તૈયાર થયેલી આ પાણીની ટાંકી લગભગ ૧૦ દિવસ પૂર્વે જ શરૂ કરવામાં આવી છે. જો કે, ટાંકીમાં પાણી ભરતાની સાથે જ ઠેર-ઠેર લીકેજીસ જોવા મળ્યા હતા. આણંદ નગરપાલિકાના પ્રમુખ જીગ્નેશ પટેલ વોર્ડ નં.૧૧ માંથી ચૂંટાયેલા છે. તેમજ અન્ય કાઉન્સીલરો પણ ભાજપના છે. ત્યારે એન્જીનીયરોની રહેમનજર હેઠળ કોન્ટ્રાક્ટર દ્વારા ધારા-ધોરણ પ્રમાણે કામકાજ નહીં કરી હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવ્યું હોવાના આક્ષેપો ઉઠયા છે. છેલ્લા દસેક દિવસથી નવનિર્મિત પાણીની ટાંકીમાંથી પાણી લીકેજ થતાં હજારો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. પાણીની ટાંકીની નીચેના ભાગે લીલ બાઝી ગઈ છે અને ટાંકીના પાયામાં પાણી એકત્ર થતા કોઈ દુર્ઘટના થવાની શક્યતા છે. આણંદ નગરપાલિકાના પ્રમુખ જિજ્ઞોશભાઈ પટેલે શરૂઆતમાં પાણીની ટાંકીમાં લિકેજ અંગે સ્વીકાર કર્યો નહતો. બાદમાં હજૂ તો પાણીની ટાંકીનું કામ ચાલુ છે, તેમાં લિકેજ છે કે કેમ તે અંગે ટ્રાયલ લેવામાં આવી રહ્યું છે. તેના કોઈ બીલ ચુકવણા થયા નથી. એજન્સીના નામ અંગે પણ પાલિકા પ્રમુખે પહેલા જામનગરની એજન્સી અને બાદમાં જુનાગઢની એજન્સી હોવાનું રટણ કર્યું હતું અને એજન્સીનું નામ ખ્યાલ ના હોવાનું જણાવ્યું હતું. આણંદ નગરપાલિકાના ચીફ ઓફિસર એસ.કે.ગરવાલે જણાવ્યું હતું કે, રૂ.૮૮ લાખના ખર્ચે વોર્ડ નં.૧૧માં પાણીની ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું છે. જો કે, હાલમાં તેનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. હજૂ જે-તે કોન્ટ્રાક્ટરને ૨૦ થી ૨૫ ટકા રકમ ચુકવવાની બાકી છે. જેથી સંપૂર્ણ કામગીરી થયા બાદ જ ચુકવણું કરવામાં આવશે.